calendar_todayFebruary 21, 2026
Ahmedabad News: પ્રેમચંદનગરમાં PG મામલે 'જંગ', કોર્પોરેશનની મંજૂરી વગર સીલ તોડ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
પ્રેમચંદનગર સોસાયટીમાં લાંબા સમયથી ચાલી રહેલો PGનો વિવાદ આજે રસ્તા પર આવી ગયો હતો. શાંત રહેણાંક વિસ્તારમાં પીજી સંચાલકોની કથિત મનમાની સામે રહીશોએ એકઠા થઈને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોનો આરોપ છે કે PGમાં રહેતા યુવક-યુવતીઓ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ અને ન્યૂસન્સ (અડચણ) ઊભું કરવામાં આવે છે.
પીજી સંચાલકો અને સ્થાનિકો આમને સામને
રહીશોની માંગ છે કે AMC આ મામલે કડક કાર્યવાહી કરી કાયમી ધોરણે PG ખાલી કરાવે. સ્થાનિકોએ દાવો કર્યો છે કે કોર્પોરેશન દ્વારા મકાનોને સીલ કરવામાં આવ્યા હતા, પરંતુ સંચાલકોએ કોઈ પણ કાયદેસરની મંજૂરી વગર આ સીલ તોડીને અંદર પ્રવેશ કર્યો છે. સોસાયટીના રહીશોએ એકઠા થઈને ઢોલ વગાડી તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને PG મુક્ત સોસાયટીની માંગ દોહરાવી હતી.
PGમાં રહેતા લોકો ન્યૂસન્સ કરતા હોવાનો આરોપ
સામે પક્ષે PG સંચાલકોએ સ્થાનિકોના આક્ષેપોને નકારતા જણાવ્યું હતું કે: "અમે AMC ની યોગ્ય મંજૂરી લીધા બાદ જ મકાનમાં પ્રવેશ કર્યો છે. અમને માલ-સામાનની હેરફેર કે અન્ય વ્યવસ્થા માટે તંત્ર દ્વારા 3 દિવસની મુદત આપવામાં આવી છે." સ્થાનિકો હવે આરપારના મૂડમાં છે. તેઓનું કહેવું છે કે રહેણાંક વિસ્તારની શાંતિ ભંગ કરનારા આવા પીજી સંચાલકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન સખત હાથે કામ લે અને રહેણાંક સોસાયટીઓમાં વ્યાવસાયિક રીતે ચાલતા PG એકમોને કાયમી તાળા મારે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો