calendar_todayJanuary 2, 2026
Bharuch: આમોદ તાલુકાના કોલવણા ગામે કેનાલમાં ડૂબી જવાથી 39 વર્ષીય યુવકનું કરુણ મોત
ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામે એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં 39 વર્ષીય સુરેશભાઈ રામુભાઈ રાઠોડનું કેનાલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ ઘટનાથી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
કોલવણા ગામની કેનાલમાં સુરેશભાઈને પડ્યા હતા
પ્રાપ્ત માહિતી મુજબ, સુરેશભાઈ ખેતી મજૂરીનું કામ કરતા હતા. સાંજના લગભગ 5:30 વાગ્યાની આસપાસગામમાં બકરા ચરાવતા એક વ્યક્તિએ કોલવણા ગામની કેનાલમાં સુરેશભાઈને પડેલા જોઈ તાત્કાલિક ગામલોકોને જાણ કરી હતી. જેથી ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ખેંચ આવી હોય અને તેઓ ત્યાં પડી ગયા હોય તેવી શક્યતા
સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું કે કેનાલમાં ઘૂંટણ જેટલું ઓછું પાણી હોવા છતાં તેઓ તેમાં ડૂબી ગયા હતા. તેમના સગા-સંબંધીઓએ જણાવ્યું હતું કે સુરેશભાઈને ખેંચ (ફિટ્સ) આવવાની બીમારી હતી, જેના કારણે તેમને અચાનક ખેંચ આવી હોય અને તેઓ ત્યાં પડી ગયા હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં મૃતદેહને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો,
પરિવારજનોમાં શોકનું વાતાવરણ
પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું, જ્યારે ગામના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો---- ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા