calendar_todayAugust 28, 2026
Bhavnagar: ફુલસરમાં મહિલાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો ગંભીર આરોપ
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં શ્વેતાબા ગોહિલ નામના મહિલાનો પોતાના જ ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની તપાસ શરૂ કરી હતી.
ભાવનગરમાં પરણિતાનું રહસ્યમય મોત
પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ આપઘાતનો લાગતો હોવા છતાં, મૃતક મહિલા શ્વેતાબાના પીઅર પક્ષ અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે વિરોધ દર્શાવ્યો હતો. પરિવારે સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે શ્વેતાબાએ આપઘાત કર્યો નથી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પરિવારજનોએ એક ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મૃતક મહિલાના પતિના આ બીજા લગ્ન હતા. આ અગાઉ ભૂતકાળમાં પણ પતિની પહેલી પત્નીની લાશ પણ આ જ રીતે રહસ્યમય સંજોગોમાં અને આ જ હાલતમાં મળી આવી હતી. એક જ પરિવારમાં બંને પત્નીઓના આ જ પ્રકારે શંકાસ્પદ મોત થતાં પરિવારનો શંકાનો કાંટો પતિ અને સાસરિયાં તરફ વળ્યો છે.
પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ
મૃતકના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સમગ્ર મામલાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને દીકરીને ન્યાય મળવો જોઈએ. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. ફોરેન્સિક પીએમ (FSL) રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પોલીસે પરિવારના નિવેદનો નોંધીને આગળની તપાસ ધરી છે.