calendar_todayMarch 20, 2026
Bhavnagar News: આવાસ યોજનામાં મનપાનો સપાટો: ભાડે આપેલા 15 મકાનો સીલ કરી માલિકો પાસેથી દંડ વસૂલાયો
ભાવનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમોનો ભંગ કરનારા લાભાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રહેવા માટે આપવામાં આવેલા આવાસનો વ્યવસાયિક ઉપયોગ કરી, તેને અન્યને ભાડે આપી દેવાના મામલે તંત્રએ લાલ આંખ કરી છે. મનપાની ટીમ દ્વારા તરસમિયા અને રુવા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં ઓચિંતી તપાસ કરી ગેરકાયદેસર રીતે રહેતા ભાડુઆતો પાસેથી મકાનો ખાલી કરાવી સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
મનપાના તંત્ર દ્વારા બોલાવવામાં આવી તવાઈ
આ કાર્યવાહી અંતર્ગત તરસમિયા આવાસ યોજનાના 13 મકાનો અને રુવા આવાસ યોજનાના 02 મકાનો મળી કુલ 15 આવાસોને સીલ મારવામાં આવ્યા છે. અગાઉ તંત્ર દ્વારા આ મકાનોના મૂળ માલિકોને નોટિસ આપીને તાકીદ કરવામાં આવી હતી કે આવાસના નિયમ મુજબ તે ભાડે આપી શકાય નહીં. તેમ છતાં, ભાડુઆતોએ મકાન ખાલી ન કરતા અને માલિકોએ નિયમનું ઉલ્લંઘન ચાલુ રાખતા આખરે મનપાએ મકાનો જપ્ત કરી સીલ મારવાની તવાઈ બોલાવી છે. આ સાથે જ નિયમ ભંગ બદલ માલિકો પાસેથી દંડની પણ વસૂલાત કરવામાં આવી છે.
આ ઉપરાંત દંડ પણ વસુલ કરવામાં આવ્યો
મનપાની આ કડક કાર્યવાહીથી અન્ય આવાસ ધારકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કરાર મુજબ, જે-તે લાભાર્થીએ પોતે જ આ મકાનમાં રહેવાનું હોય છે અને ચોક્કસ વર્ષો સુધી તે વેચી કે ભાડે આપી શકાતું નથી. તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં અન્ય આવાસ યોજનાઓમાં પણ આ પ્રકારે સર્વે કરી જે મકાનો ભાડે આપેલા જણાશે તેમને સીલ કરવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો