calendar_todayAugust 28, 2026
Bhavnagar: PMAY ના 61 મકાનો ભાડે આપી દેવાતાં મનપાની લાલ આંખ, નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી
ભાવનગર શહેરમાં સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોતાના ઘરનું ઘર છત મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ મકાનોની ફાળવણી કરવામાં આવી છે. જોકે, ઘણા લાભાર્થીઓ આ સરકારી યોજનાનો દુરુપયોગ કરીને મકાનમાં પોતે રહેવાને બદલે તેને કમાણીનું સાધન બનાવી રહ્યા હોવાની ફરિયાદો મનપાને મળી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના કમાણીનું સાધન
આ ફરિયાદોના આધારે ભાવનગર મહાનગરપાલિકાની વિશેષ ટીમે છેલ્લા 4 દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારો જેવા કે રુવા, ઘોઘા રોડ, ફુલસર અને આખલોલ જકાતનાકા ખાતે આવેલા PMAY આવાસમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ટીમે 168 મકાનોની ચકાસણી કરી હતી, જેમાં રફલી દર 3 માંથી 1 મકાનમાં મૂળ લાભાર્થીને બદલે અન્ય ભાડૂઆતો રહેતા હોવાનો પર્દાફાશ થયો હતો.
આવાસ ફાળવણી રદ કરવા સુધીની કાર્યવાહી
પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમો મુજબ ફાળવવામાં આવેલું મકાન લાભાર્થી પોતે જ વાપરી શકે છે અને તેને અમુક ચોક્કસ સમયગાળા સુધી ભાડે આપવા કે વેચવા પર સખત મનાઈ હોય છે. છતાં કેટલાક લાભાર્થીઓએ આ મકાનો ઊંચા ભાડા વસૂલીને અન્ય લોકોને આપી દીધા હતા.ચેકિંગ દરમિયાન ઝડપાયેલા તમામ 61 આવાસના મૂળ ફાળવણીકારોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે અને આ મકાનોને સીલ કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. મનપા અધિકારીઓના જણાવ્યા મુજબ, નિયમોનો અનાદર કરનાર લાભાર્થીઓની આવાસ ફાળવણી રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી ખરેખર જરૂરિયાતમંદ લોકોને આ યોજનાનો લાભ મળી શકે.