calendar_todayAugust 13, 2026
Dwarkaમાં પવિત્ર શ્રાવણના પ્રથમ દિવસે નાગેશ્વર જ્યોતિર્લિંગે શિવભક્તોનું ઘોડાપૂર, જયઘોષથી ગુંજ્યું ધામ!
આજથી દેવાધિદેવ મહાદેવની આરાધનાના પરમ પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે. પ્રથમ દિવસે જ ગુજરાત સહિત દેશભરના શિવાલયોમાં ભક્તિનો અનોખો માહોલ છવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગો પૈકીના એક એવા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભોળાનાથના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી.
જળાભિષેક અને પૂજન સાથે પરિસરમાં ગુંજ્યા શિવનામ
મંદિરના દ્વાર ખુલતાની સાથે જ 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના ગગનભેદી જયઘોષથી સમગ્ર નાગેશ્વર ધામ ગુંજી ઉઠ્યું હતું. શિવભક્તોએ ભગવાન ભોળાનાથના પવિત્ર જ્યોતિર્લિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલિપત્ર અર્પણ કરીને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. શ્રદ્ધાળુઓએ પોતાના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્ય માટે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં સરોબોર બની ગયું હતું.
ભક્તોની ભીડને ધ્યાને રાખી પ્રશાસન દ્વારા સુચારૂ વ્યવસ્થા
શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનાર્થે પધારતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પ્રશાસન દ્વારા વ્યાપક સુરક્ષા અને સુવિધાઓ ગોઠવવામાં આવી છે. દર્શનાર્થીઓ માટે સુચારૂ લાઈન વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. આગામી આખા મહિના દરમિયાન શિવાલયમાં વિવિધ ધાર્મિક મહોત્સવો અને વિશેષ શણગારનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે.