calendar_todayJanuary 16, 2026
Dwarka: સુદામા સેતુનું નસીબ ચમક્યું, 14.11 કરોડના ખર્ચે હાઈટેક 'જર્મન ટેકનોલોજી' થી બનશે નવો બ્રિજ
જગત મંદિરની સામે ગોમતી નદી પર આવેલો અને પ્રવાસીઓનું માનીતું આકર્ષણ એવો 'સુદામા સેતુ' છેલ્લા ત્રણ વર્ષથી સૂમસામ ભાસી રહ્યો છે. ઓક્ટોબર 2022માં મોરબીના ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટના બાદ સલામતીના કારણોસર આ પુલને બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે, હવે દ્વારકા આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. સરકારે આ સેતુના નવનિર્માણ માટે લીલી ઝંડી આપી દીધી છે.
સેતુના નવનિર્માણ માટે લીલી ઝંડી આપી
સુદામા સેતુને ફરીથી ધમધમતો કરવા માટે સરકારે કુલ ₹14.11 કરોડનું મંગીરું બજેટ ફાળવ્યું છે. આ પ્રોજેક્ટમાં બે સંસ્થાઓનો સહયોગ રહેશે.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ₹9.45 કરોડનો ખર્ચ ભોગવશે. ₹5 કરોડનું યોગદાન આપશે. PWD (માર્ગ અને મકાન વિભાગ) દ્વારા આ કામગીરી માટે એક ખાનગી એજન્સીની પસંદગી કરી તેને કામ સોંપી દેવામાં આવ્યું છે.
સુદામા સેતુ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત આધુનિક
નવો સુદામા સેતુ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત આધુનિક હશે. એન્જિનિયરો દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશ્વસ્તરીય જર્મન ટેકનોલોજી અને સ્ટેનલેસ સ્ટીલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવશે. નદીમાં રહેલા જૂના મજબૂત પીલરને યથાવત રાખવામાં આવશે, પરંતુ તેની ઉપરનું આખું સુપર કન્સ્ટ્રક્શન નવેસરથી કેબલ બ્રિજ સ્વરૂપે તૈયાર થશે. જૂના ઝુલતા પુલના સ્થાને હવે વધુ સુરક્ષિત અને હાઈટેક કેબલ સ્ટેઈડ બ્રિજ જોવા મળશે.
પ્રવાસનને મળશે વેગ
છેલ્લા ત્રણ વર્ષથી બ્રિજ બંધ હોવાને કારણે પ્રવાસીઓ ગોમતી નદીની સામે પાર આવેલા પંચનદ તીર્થ અને સમુદ્ર કિનારાનો આનંદ માણી શકતા નહોતા. આ કામગીરી પૂર્ણ થતા અંદાજે એક વર્ષનો સમય લાગશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાથી ટૂંક સમયમાં જ સાઈટ પર મશીનરીઓ કામ કરતી જોવા મળશે.
આ પણ વાંચો: હાંસોટના સાહોલ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી દીપડાનું બચ્ચું મળ્યું