calendar_todaySeptember 7, 2026
Gandhinagar : 9 વિધેયક સાથે 9 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસુ સત્ર, અછત મુદ્દે મંત્રી જીતુ વાઘાણી બોલવાનું ટાળ્યું
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 9, 10 અને 11 સપ્ટેમ્બર એમ 3 દિવસ માટે યોજાવાનું છે. સત્રની તૈયારીઓને લઈને વિધાનસભા અધ્યક્ષની આગેવાનીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરકારના મંત્રીઓ અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
3 દિવસના સત્રમાં ગૃહમાં આવશે 9 વિધેયક
આગામી ચોમાસુ સત્ર દરમિયાન કુલ 9 વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. સરકાર દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને વિધેયકો રજૂ કરવામાં આવશે અને ગૃહમાં તેના પર ચર્ચા કરવામાં આવશે. ચોમાસુ સત્રને લઈને રાજકીય અને વહીવટી સ્તરે તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે.
અવસાન પામેલા સભ્યોને અપાશે શ્રદ્ધાંજલિ
વિધાનસભાના અગાઉના તેમજ ચાલુ ટર્મ દરમિયાન અવસાન પામેલા સભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સત્રની શરૂઆત દરમિયાન ગૃહ દ્વારા દિવંગત સભ્યોને શોકાંજલિ આપવામાં આવશે.
કોંગ્રેસના આરોપો પર શું કહ્યું?
કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વિવિધ આરોપો અંગે પૂછવામાં આવતા મંત્રી જીતુ વાઘાણીએ ભાજપ સરકારને જનતાની સ્વીકૃતિ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકશાહીમાં જનતાએ ભાજપને તક આપી છે અને જનતાએ પોતાનો જવાબ ચૂંટણી દ્વારા આપ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે સરકાર ક્યાંય ચર્ચામાંથી ભાગતી નથી.
કિસાન સંઘની બેઠક પર મૌન કેમ?
વિધાનસભા સત્રની બેઠક દરમિયાન કિસાન સંઘ સાથેની બેઠક અને રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાના મુદ્દે પૂછાયેલા સવાલો પર કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું. કિસાન સંઘ દ્વારા અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આ મુદ્દે મંત્રીના મૌને અનેક સવાલો ઉભા કર્યા છે.
સત્રમાં અછતનો મુદ્દો ગુંજશે?
આગામી 3 દિવસીય ચોમાસુ સત્રમાં કુલ 9 વિધેયક રજૂ થવાના છે. બીજી તરફ રાજ્યમાં અછતની સ્થિતિ અને ખેડૂતોની મુશ્કેલીઓનો મુદ્દો પણ ચર્ચામાં રહે તેવી શક્યતા છે. હવે સૌની નજર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર અછતગ્રસ્ત વિસ્તાર અને ખેડૂતોના પ્રશ્નો અંગે શું જવાબ આપે છે તેના પર રહેશે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?