calendar_todayJanuary 28, 2026
Gandhinagar News: આદિવાસી વિસ્તારોમાં 2600 કરોડના ખર્ચે 2020 કિ.મીના પાકા બારમાસી રસ્તા તૈયાર કરાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આવેલા પરાઓને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એકપણ વાર જોડાણ મળ્યું ન હોય તેવા 2011ની વસ્તી ગણતરી મુજબ 500થી વધુ વસ્તીના નોર્મલ એરિયા તથા 250થી વધુ વસ્તી ધરાવતા ટ્રાયબલ એરિયાના 1614 પરાઓને પ્રથમવાર પાકા બારમાસી રસ્તાથી જોડવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા 40 ટકા રકમ ચૂકવવામાં આવે છે
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે,રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 4 અંતર્ગત કરવામાં આવેલા સર્વેમાં 4781 પરાઓ પૈકી પ્રથમ તબક્કામાં 1614 પરાઓ પસંદ કરવામાં આવ્યા છે.આ પરાઓમાં કુલ 2020 કિલોમીટરના રસ્તા બનાવવામાં આવશે.આ રસ્તા અંદાજિત કુલ રૂ.2600 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ નવીન રોડ તૈયાર થવાથી આદિવાસી વિસ્તારના કુલ 1699 પરાઓમાં રહેતી અંદાજે 8 લાખથી વધુ વસ્તીને લાભ મળશે અને માળખાકીય સુવિધામાં વધારો થશે.આ સિવાય બાકી રહેલા સર્વેની ચકાસણી પણ કેન્દ્ર સરકાર દ્વારા ઝડપથી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પરાઓને પાકા બારમાસી રસ્તાઓથી જોડવા માટે કેન્દ્ર દ્વારા 60 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 40 ટકા રકમ ચૂકવવામાં આવે છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યની સહકારી સંસ્થાઓ અને મંડળીઓની ચૂંટણી છ માસ માટે મુલતવી રખાઈ