calendar_todayJanuary 31, 2026
Gujarat : મતદાર યાદી સુધારણામાં વાંધા રજૂ કરવાની મુદત પૂર્ણ, કુલ 14,70,125 ફોર્મ મળ્યા
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. મુસદ્દા યાદીમાં નાગરિકો પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકે તે માટે અગાઉ તા. 18.01.2026ની સમયસીમા રખાઈ હતી જે બાદમાં ભારતના ચૂંટણીપંચે 30.01.2026 નિર્ધારીત કરી હતી.
ફોર્મ નં 8ની કુલ સંખ્યા 5,60,970
આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી નાગરિકો તરફથી કુલ 14,70,125 ફોર્મ્સ મળ્યા છે. જેમાં ફોર્મ નં 6ની કુલ સંખ્યા 7,25,920 છે, ફોર્મ નં 7ની કુલ સંખ્યા 1,83,235 છે જ્યારે ફોર્મ નં 8ની કુલ સંખ્યા 5,60,970 છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલા હેતુ ‘પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર સામેલ ન થાય’ને સિદ્ધ કરવા માટે રાજ્યભરના મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ આ તમામ ફોર્મની ચકાસણી કરીને 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં નિકાલ કરશે.
ઉલ્લેખનીય છે કે કોઈપણ કારણોસર જો રાજ્યના કોઈપણ નાગરિકો ફોર્મ ભરવામાં કે પછી તેને જમા કરાવવાનું ચૂકી ગયા હોય કે પછી મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં ન જોડાઈ શક્યા હોય તો આગામી સમયમાં સતત સુધારણા અંતર્ગત તેઓ ફોર્મ ભરી શકશે અને મતદાર યાદીમાં તેમનું નામ ઉમેરવું, રદ્દ કરવું કે સ્થળાંતર સહિતના ફેરફાર કરાવી શકશે.
આ પણ વાંચો : Rajula: નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે સિંહણનું મોત, એક મહિનામાં 6 વન્ય પ્રાણીઓના વાહનની અડફેટે લીધા