calendar_todayJanuary 20, 2026
IIT કાનપુરમાં 22 દિવસમાં આત્મહત્યાની બીજી ઘટના, પીએચડી વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી કૂદીને કર્યો આપઘાત
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુરના એક પીએચડી વિદ્યાર્થીએ મંગળવારે બપોરે કોલેજ બિલ્ડિંગના બીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. મૃતક વિદ્યાર્થી, જેની ઓળખ રામસ્વરૂપ ઈશરામ તરીકે થઈ છે, તે અર્થ સાયન્સ વિભાગમાંથી પીએચડી કરી રહ્યો હતો. તે તેની પત્ની અને નાની પુત્રી સાથે IIT કેમ્પસમાં રહેતો હતો. આઘાતજનક રીતે છેલ્લા 22 દિવસમાં IIT કાનપુરના બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જેના કારણે કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે.
ડોક્ટરોએ તપાસ બાદ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો
આ ઘટના બપોરના સમયે IITના AA-21, ન્યૂ SBRA બિલ્ડિંગમાં બની હતી. કાનપુર પોલીસના જણાવ્યા મુજબ વિદ્યાર્થીએ અચાનક બીજા માળેથી કૂદી પડ્યો હતો. કોલેજ મેનેજમેન્ટે તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થી મૂળ રાજસ્થાનના ચુરુ જિલ્લાનો રહેવાસી હતો. રામસ્વરૂપ તેની પત્ની મંજુ અને ત્રણ વર્ષની પુત્રી સાથે કોલેજ કેમ્પસમાં રહેતો હતો. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થી ડિપ્રેશનથી પીડાતો હતો. જો કે આત્મહત્યાનું કારણ નક્કી કરવા માટે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીની પત્નીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
26 મહિનામાં 9 વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા
IIT કાનપુરમાં કોઈ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોય તેવી આ પહેલી ઘટના નથી. આજની ઘટના પહેલા છેલ્લા 26 મહિનામાં 8 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. સંશોધન સહાયક ડૉ. પલ્લવી ચિલ્કાએ 19 ડિસેમ્બર, 2023ના રોજ IIT કાનપુરમાં આત્મહત્યા કરી હતી. એમ.ટેકના વિદ્યાર્થી વિકાસ મીનાએ 10 જાન્યુઆરી, 2024ના રોજ આત્મહત્યા કરી હતી. પીએચડી વિદ્યાર્થી પ્રિયંકા જયસ્વાલે 18 જાન્યુઆરી, 2024ના રોજ આત્મહત્યા કરી હતી.
પીએચડી વિદ્યાર્થી પ્રગતિએ 10 ઓક્ટોબર, 2024ના રોજ આત્મહત્યા કરી હતી. પીએચડી સ્કોલર અંકિત યાદવે 10 ફેબ્રુઆરી, 2025ના રોજ આત્મહત્યા કરી હતી. સોફ્ટવેર ડેવલપર દીપક ચૌધરીએ 25 ઓગસ્ટ, 2025ના રોજ આત્મહત્યા કરી હતી. બી.ટેકના અંતિમ વર્ષના વિદ્યાર્થી ધીરજ સૈનીએ 1 ઓક્ટોબર, 2025ના રોજ આત્મહત્યા કરી હતી. અંતે, 29 ડિસેમ્બર, 2025ના રોજ જયસિંહ મીણાએ આત્મહત્યા કરી હતી. જો આજની આત્મહત્યાનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો હવે 9 પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો : Sabarimala temple : સોનું તાંબુ સમજીને બહાર નિકાળાયું, ED તપાસમાં મોટું ખુલાસો