calendar_todayMarch 5, 2026
Mehsana News: દેત્રોજનો પરિવાર છેલ્લા 6 દિવસથી દુબઈમાં ફસાયો
મહેસાણા જિલ્લાના દેત્રોજ પંથકનો એક પરિવાર દુબઈના પ્રવાસે ગયો હતો, પરંતુ ત્યાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે તેઓ મુસીબતમાં મુકાયા છે. આ પરિવાર ગત 21 ફેબ્રુઆરીએ મોજ-મસ્તી અને ફરવાના હેતુથી દુબઈ ગયો હતો. તેમના શિડ્યુલ મુજબ, તેઓ 28 ફેબ્રુઆરીની ફ્લાઈટમાં ભારત પરત આવવાના હતા, પરંતુ મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધ અને અશાંતિને કારણે તેમની ફ્લાઈટ રદ કરી દેવામાં આવી હતી.
સંપર્ક છતાં કોઈ ઉકેલ નહીં
પરિવારના સભ્યો વતન પરત આવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ તેમને સફળતા મળી રહી નથી. ફસાયેલા પરિવારે છેલ્લા કેટલાક દિવસોમાં બે થી ત્રણ વાર ઇન્ડિયન એમ્બેસી (ભારતીય દૂતાવાસ) નો સંપર્ક સાધ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે એમ્બેસી તરફથી હજુ સુધી કોઈ સંતોષકારક કે સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. અત્યાર સુધી ભારત સરકાર કે દૂતાવાસ તરફથી કોઈ સત્તાવાર એડવાઈઝરી કે પરત લાવવા માટેની વ્યવસ્થા અંગેની માહિતી ન મળતા પરિવાર ચિંતાતુર બન્યો છે.
હજુ સુધી સત્તાવાર એડવાઈઝરી કે મદદ મળી નથી
પરદેશમાં અજાણ્યા સ્થળે સીમિત સંસાધનો અને વધતા ખર્ચ વચ્ચે આ પરિવાર હવે ભારત સરકાર પાસે મદદની આજીજી કરી રહ્યો છે. યુદ્ધની આ પરિસ્થિતિમાં વતન પરત ફરવું તેમના માટે પડકારજનક બન્યું છે. મહેસાણામાં રહેતા તેમના સંબંધીઓ પણ સરકાર આ મામલે વહેલી તકે હસ્તક્ષેપ કરે અને પરિવારને સુરક્ષિત પરત લાવે તેવી માંગ કરી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો