calendar_todayAugust 19, 2026
Nadiad: ઠાસરા પંથકમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારાઇ
ઠાસરા પંથકમાં બે વર્ષ અગાઉ રાત્રીના સુમારે પતિએ પત્નિ પર શંકા રાખી કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાંખતા સુખી પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. આ ગુનામાં નડિયાદ સેશન્સ અદાલતે હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. ઠાસરા તાલુકાના દેવનગર કમલેશભાઈ પટેલના કુવાવાળા ખેતરની ઓરડીમાં રહેતા રાજુ ઉર્ફે રાજેશ સોમાભાઈ ઠાકોર (પાટણવાડિયા) (ઉં.વ.43)તથા તેમના પત્નિ જ્યોતિકાબેન ગત તા.19 - 20 સપ્ટેમ્બર 2026 વચ્ચે બોલાચાલી થઈ હતી. પતિ રાજેશે તુ આજે બેસણામાં એકલી કેમ ગઈ હતી કહી પત્નિ પર આડાસંબંધનો વહેમ રાખી ઝઘડો કર્યો હતો. અને ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિ રાજેશે પત્નિ જ્યોતિકા બેનના માથામાં કુહાડી ઝીંકી દીધી હતી. જ્યોતિકાબેનને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજયુ હતું. આ મામલે જ્યોતિકા બેનની બહેનની ફરિયાદના આધારે ઠાસરા પોલીસ મથકે રાજેશ ઠાકોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 અને જીપી એકટ મુજબ ફરિયાદ નોંધાવા પામી હતી. આ કેસ નડિયાદની સેશન્સ અદાલતમાં ચાલી જતા ખેડા જિલ્લાના પ્રિન્સીપાલ સેસન્સ જજ પરવીનકુમારે સરકારી વકીલ પ્રેમ આર.તિવારીની દલીલો, આશરે 21થી વધુ દસ્તાવેજી પુરાવાઓ, 14 સાહેદોની જુબાનીને ધ્યાને લઈ રાજુ ઉર્ફે રાજેશ સોમાભાઈ ઠાકોરને હત્યાની કલમ મુજબ આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો