calendar_todayJanuary 12, 2026
Nadiad: નડિયાદમાં બાઈક ચાલકે 7 વર્ષની બાળકીને અકસ્માતમાં મોત પહોંચાડ્યું
નડિયાદમાં રવિવારની સાંજે ફતેપુરા રીંગ રોડ નહેર કેનાલ નજીક વસવાટ કરતાં પરિવારની એક સાત વર્ષની બાળકીને એક નશામાં ધૂત બાઈક ચાલકે અડફેટે લીધી હતી. બાળકીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે તેનું મોત નિપજયું હતું. જ્યારે નશામાં ધૂત બાઈક મુકી ભાગતા ચાલકને સ્થાનિકોએ ઝડપી પોલીસ હવાલે કર્યો હતો.
નડિયાદ મોટી નહેર પાસે ભાટના કુવા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ પરમારની સાત વર્ષની દિકરી આરોહી ગઈકાલે તા.11 જાન્યુઆરી 2026ના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે ઘર આગળ ઉકરડા પાસે બેઠી હતી. દરમિયાન ફતેપુરા તરફથી કેનાલવાળા રોડે એક બાઈકચાલક પુરઝડપે બાઈક ચલાવી આવતો હતો.
જેણે બાઈક પરનો કાબુ ગુમાવતાં નહેરની બોર્ડર પર લગાવેલ લોખંડની જાળીએ ભટકાયો હતો, અને બાદમાં બાળકીને ટકકર મારી હતી અને ઉકરડામાં બાઈક લઈને ઘુસી ગયો હતો. જેથી ઘરની આસપાસ બેઠેલ પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા. સ્થાનિકોએ 112ને જાણ કરતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી, બાળકીને માથામાં ઈજા પહોંચી હોઈ તેને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના ડૉકટરે બાળકીને મૃત જાહેર કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો