calendar_todayAugust 28, 2026
Navsari News: માછીમાર સમાજે ઉજવી નારિયેળી પૂનમ, હોડીઓ અને દરિયાદેવનું કર્યું પૂજન
રક્ષાબંધન અને બળેવના પવિત્ર તહેવાર નિમિત્તે નવસારી જિલ્લાના માછીમાર સમાજે એક અનોખી અને પરંપરાગત ઉજવણી કરી છે. માછીમારો આજના દિવસને 'નારિયેળી પૂનમ' તરીકે ઉજવે છે અને પોતાની આજીવિકાનું મુખ્ય સાધન ગણાતી હોડીઓ તથા દરિયાદેવનું પૂજન કરીને નવા માછીમારી સત્રનો શુભારંભ કરે છે.
52 કિલોમીટરના દરિયાકિનારે પરંપરાગત પૂજન
નવસારી જિલ્લાના 52 કિલોમીટર લાંબા દરિયાકિનારે વસતો માછીમાર સમાજ આ દિવસને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. જેમ બહેન પોતાના ભાઈની રક્ષા માટે કાંડા પર રાખડી બાંધે છે, તેમ માછીમારો પોતાની સુરક્ષા માટે હોડીઓનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરે છે. પૂજા-અર્ચના કર્યા બાદ હોડીઓને દરિયાના પાણીમાં તરતી મૂકવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતનું આશીર્વાદરૂપ ધોલાઈ બંદર
નવસારી અને વલસાડ જિલ્લાના માછીમારો પાસે 1200 થી વધુ ફિશિંગ બોટ છે. દક્ષિણ ગુજરાતના માછીમારો માટે ધોલાઈ બંદર એક આશીર્વાદ સમાન છે, જ્યાંથી 1200 થી વધુ બોટ દરિયામાં માછીમારી કરવા ઉપડે છે. આ વ્યવસાય દ્વારા આસપાસના વિસ્તારના 25,000 થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળે છે.

કળશ યાત્રા અને દરિયાદેવની ખાસ પૂજા
આજના ખાસ દિવસે માછીમારોના પરિવારજનો દ્વારા ભવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી. એવી લોકમાન્યતા છે કે, આજના દિવસથી દરિયાદેવ પોતાનું રૌદ્ર સ્વરૂપ કે બળ ઓછું કરે છે, જેથી આ તહેવારને 'બળેવ' પણ કહેવામાં આવે છે. આગામી 9 મહિના સુધી દરિયો શાંત રહે, માછીમારોની રક્ષા કરે અને વિપુલ પ્રમાણમાં માછલીઓ મળી રહે તે માટે દરિયાલાલને નારિયેળ અર્પણ કરી વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે.

સરકારી મદદથી માછીમારી ક્ષેત્રે આધુનિકતા
બદલાતા સમય સાથે રાજ્ય સરકાર દ્વારા પણ માછીમારોને વિવિધ યોજનાઓ હેઠળ આર્થિક અને તકનીકી સહાય આપવામાં આવી રહી છે. જેને કારણે હવે માછીમારો માછલી પકડવા માટે આધુનિક સાધનો અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે, જેનાથી તેમના ધંધા-રોજગારમાં મોટો સુધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો - Navsari News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નામે ફેક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ કરનાર સામે નોંધાયો ગુનો