calendar_todaySeptember 4, 2026
Porbandar Lok Mela: ફૂડ સેફ્ટી ટીમની તવાઈ, 185 કિલો વાસી ખાદ્યસામગ્રીનો નાશ કરાયો
પોરબંદરના પ્રખ્યાત લોકમેળામાં લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવવા માટે ફૂડ સેફ્ટી વિભાગે લાલ આંખ કરી છે. લોકમેળામાં આવેલા વિવિધ ખાણીપીણીના સ્ટોલ્સ અને લારીઓ પર ફૂડ સેફ્ટી ટીમે અચાનક દરોડા પાડીને મેગા ચેકિંગ હાથ ધર્યું હતું. આ તવાઈના કારણે ભેળસેળયુક્ત અને અશુદ્ધ ખોરાક વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
185 કિલો અયોગ્ય ખાદ્યસામગ્રી જપ્ત કરી કરાયો નાશ
આ સઘન ચેકિંગ ઝુંબેશ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવી કુલ 185 કિલો અયોગ્ય ખાદ્યસામગ્રી જપ્ત કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ટીમે કોઈ પણ જાતની શેહશરમ રાખ્યા વિના આ તમામ વાસી અને ખુલ્લી ખાદ્યસામગ્રીનો સ્થળ પર જ વિનષ્ટ કરી નાશ કર્યો હતો, જેથી મેળામાં આવતા મુલાકાતીઓના આરોગ્ય સાથે કોઈ જોખમ ન સર્જાય.

વાસી દાબેલી, મંચુરિયનથી લઈ ચટણી સુધીની સામગ્રી રડારમાં
ચેકિંગ દરમિયાન ટીમે મેળાઓમાં વેચાતી અનેક વાનગીઓને તપાસના રડારમાં લીધી હતી. ઘણી સામગ્રીમાંથી અશુદ્ધિઓ અને વાસીપણું મળી આવ્યું હતું. જેમાં વાસી અને ખુલ્લા રાખેલા શાકભાજી, ફળો, ભાત, દાબેલી, પકોડા અને ખીચડી, છોલે, ખમણ-ઢોકળા, ચાઇનીઝ મંચુરિયન તથા અસ્વચ્છ સ્થિતિમાં બનાવેલી વિવિધ ચટણીઓનો સમાવેશ થાય છે.

મેળા દરમિયાન ચેકિંગ સતત રહેશે ચાલુ ઝુંબેશ
ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, લોકમેળા દરમિયાન નાગરિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રથમ પ્રાથમિકતા છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારનું કડક ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે. આ તમામ સ્ટોલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે, તેઓ શુદ્ધ, તાજી અને ઢાંકેલી સામગ્રી જ ગ્રાહકોને પીરસે, અન્યથા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: Janmashtami 2026 Photos Live : જન્માષ્ટમીના પાવન પર્વે જુઓ તમારા કાનુડા અને રાધાના ફોટો