calendar_todayAugust 14, 2026
Rajkot : તહેવારો ટાણે જ સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો, ડબ્બે રૂ. 50 સુધીનો વધારો
શ્રાવણ મહિનામાં તહેવારોની શરૂઆત થાય તે પહેલાં જ સામાન્ય જનતા અને ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. તહેવારોની મોસમમાં જ રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં સાર્વત્રિક ભડકો જોવા મળ્યો છે. માર્કેટમાં તહેવારોને કારણે ખાદ્યતેલની માગમાં અચાનક ઉછાળો આવતા અને સામે યાર્ડોમાં કપાસિયા તેમજ મગફળીની આવક ઘટતાં વેપારીઓ દ્વારા તેલના ભાવમાં મસમોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
સીંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં રૂ. 50 નો સીધો વધારો
સૌથી વધુ વપરાતા સીંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં રૂ. 50 નો સીધો વધારો થયો છે. આ વધારા સાથે સીંગતેલના ડબ્બાનો ભાવ હવે રૂ. 2950 થી વધીને રૂ. 3050 ની સપાટીએ પહોંચી ગયો છે.
કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 25 નો વધારો
સીંગતેલની સાથોસાથ મધ્યમ વર્ગના ઘરોમાં વપરાતા કપાસિયા તેલના ભાવ પણ ઊંચકાયા છે. કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 25 નો વધારો થતાં તેનો નવો ભાવ રૂ. 2850 પર પહોંચી ગયો છે.
બજારમાં ખાદ્યતેલની ડિમાન્ડ ખૂબ વધી ગઈ
તેલના વેપારીઓના જણાવ્યા અનુસાર, હાલ તહેવારોની સીઝન હોવાથી બજારમાં ખાદ્યતેલની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. તેની સામે મિલરોને કાચો માલ એટલે કે મગફળી અને કપાસિયા પૂરતા પ્રમાણમાં મળી રહ્યા નથી અને તેના ભાવ પણ ઊંચા બોલાઈ રહ્યા છે. આવક ઓછી અને માગ વધુ હોવાના કારણે આ ભાવવધારો નોંધાયો છે. તહેવારોના ટાણે જ તેલના ભાવ વધતાં સામાન્ય વર્ગના ખિસ્સા પર બોજ વધ્યો છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત