calendar_todayAugust 2, 2026
Rajkot: દરેક વખતે બોલવું જરૂરી નથી, કામ જ બોલે છે", CMનો વડાપ્રધાનના મોડેલ પર ભાર અને મેયરને ટકોર
રાજકોટ ખાતે સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં આજે ભવ્ય વાતાવરણ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન થયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમમાં મુખ્યમંત્રીના કરકમલો દ્વારા યુનિવર્સિટીના નવનિર્મિત હાઇટેક 'ન્યૂ ઓડિટોરિયમ' તેમજ સુસજ્જ 'લાઇબ્રેરી' સહિતના અનેક શૈક્ષણિક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીના નવનિર્મિત હાઇટેક 'ન્યૂ ઓડિટોરિયમનું લોકાર્પણ
આ કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકા હેઠળના રાજકોટ શહેરના વિવિધ વોર્ડમાં હાથ ધરાનાર કરોડો રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, રોડ નેટવર્ક અને ડ્રેનેજ સિસ્ટમ જેવા વિકાસકામોનું વિધિવત ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન થયું હતું.સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂન્દ્ર પટેલે પોતાના આગવા શૈલીમાં વિરોધીઓને આડકતરો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, "દરેક વખતે રાજકીય નિવેદનો આપવા કે બોલવું જરૂરી નથી હોતું. દેશમાં સાચો વિકાસ કેવો હોય અને પ્રજા સુધી તેને કેવી રીતે પહોંચાડવો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કામ દ્વારા સાબિત કરીને સમજાવ્યું છે."
2030 માં કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતના આંગણે
રાજકોટ શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ તૂટવાની સમસ્યામાંથી કાયમી મુક્તિ માટે હવે મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ નવા માર્ગો RCC (સિમેન્ટ કોંક્રિટ) ના જ બનાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના ગરીબો માટે આશીર્વાદ છે, પરંતુ જો નાગરિકો દિનચર્યામાં નિયમિત યોગ અને કસરત અપનાવશે તો તેમને હોસ્પિટલ જવાની કે આયુષ્માન કાર્ડની જરૂર જ નહીં પડે.ભારતે રમતગમતમાં મેળવેલી સિદ્ધિઓ અને કોમનવેલ્થમાં મેળવેલા મેડલ્સનો ઉલ્લેખ કરી તેમણે ઉમેર્યું કે 2030 માં કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતના આંગણે યોજાવાની છે, ત્યારે રાજ્યનું ખેલકૂદ માળખું વિશ્વસ્તરીય બની રહ્યું છે.
મુખ્યમંત્રીએ મેયર નેહલ શુક્લને ટકોર કરી
તાજેતરમાં જંગલેશ્વરમાં દબાણ હટાવો ઝુંબેશ અને ડિમોલેશન બાદ ઉપસ્થિત થયેલા સ્થાનિક પ્રશ્નો વચ્ચે મુખ્યમંત્રી પટેલે રાજકોટના મેયર નેહલ શુક્લને સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, "રાજકોટના વિકાસકામો માટે ફંડની ચિંતા ના કરતા. સરકાર પાસે જેટલું ભંડોળ હશે તે બધું જ આપીશું, પરંતુ પ્રજાના નાણાંમાંથી થતાં તમામ કામો ઉચ્ચ ક્વોલિટી અને ગુણવત્તાવાળા જ થવા જોઈએ."