calendar_todayJanuary 16, 2026
Republic Day 2026: NID અમદાવાદે તૈયાર કરી ગણતંત્ર દિવસની આમંત્રણ પત્રિકા
આગામી 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની સમગ્ર દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે આ રાષ્ટ્રીય પર્વમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ માટે ગર્વ લેવા જેવી બાબત સામે આવી છે. અમદાવાદની વિશ્વવિખ્યાત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) દ્વારા આ વર્ષના ગણતંત્ર દિવસની સત્તાવાર આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ભવનનું વિશેષ સૂચન
દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન દ્વારા ગણતંત્ર દિવસની પત્રિકા તૈયાર કરવાની મહત્વની જવાબદારી NIDની નિષ્ણાત ટીમને સોંપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવનના સીધા સૂચન બાદ NIDની ટીમે દિવસ-રાત મહેનત કરીને એક એવી પત્રિકા તૈયાર કરી છે, જેમાં ભારતની પ્રાચીન કલાત્મક સંસ્કૃતિ અને આધુનિક ડિઝાઇનનો અદભૂત સમન્વય જોવા મળે છે.
નોર્થ-ઈસ્ટની ઓળખ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ
આ વર્ષની આમંત્રણ પત્રિકાની મુખ્ય વિશેષતા તેની 'નોર્થ-ઈસ્ટ' (ઉત્તર-પૂર્વ ભારત) ઓળખ છે. પૂર્વ ભારતના રાજ્યોની વિશિષ્ટ કલા, પરંપરા અને સંસ્કૃતિને આ પત્રિકામાં મુખ્ય થીમ તરીકે રાખવામાં આવી છે. આ પત્રિકા માત્ર એક નિમંત્રણ નથી, પરંતુ તે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, બંધુત્વ અને ભારતીય ગૌરવનો મજબૂત સંદેશ પાઠવે છે.
સંદેશ ન્યુઝ પાસે રહેલી આ એક્સક્લુઝિવ વિગતો મુજબ, પત્રિકામાં વપરાયેલા રંગો અને ડિઝાઈન ભારતની વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. NID દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ડિઝાઈનિંગ છાપ હવે દેશ-વિદેશના મહાનુભાવો સુધી ભારતીય કળાનો પરિચય કરાવશે.