calendar_todayJanuary 11, 2026
Russia Ukraine War Update: વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે પીએમ મોદી લાવી શકે છે શાંતિ, યુક્રેનિયન રાજદૂતે વ્યક્ત કર્યો વિશ્વાસ
યુક્રેનિયન રાજદૂતની પત્ની કેટેરીનાએ કહ્યું કે, એકવાર આપણે યુદ્ધ જીતીશું. તો આપણા દેશને ફરીથી બનાવવા માટે ભારતની નોંધપાત્ર મદદની જરૂર પડશે.
યુક્રેનિયનના રાજદૂતની પ્રતિક્રિયા
યુક્રેનિયન રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુકે પીએમ મોદીની વૈશ્વિક ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, પીએમ મોદી આંતરરાષ્ટ્રીય મંચ પર શાંતિ સ્થાપિત કરવામાં સક્રિય અને અસરકારક ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં બોલી રહ્યા હતા. યુક્રેનિયન રાજદૂતના જણાવ્યા અનુસાર, ભારત માત્ર એક મોટી આર્થિક અને રાજદ્વારી શક્તિ તરીકે ઉભરી આવ્યું નથી, પરંતુ વૈશ્વિક સંઘર્ષોના ઉકેલ માટે સંતુલિત અને જવાબદાર અભિગમ અપનાવીને વિશ્વનો વિશ્વાસ પણ મેળવી રહ્યું છે.
ભારત અને યુક્રેન સાથે મળીને કરશે કામ: યુક્રેનિયન રાજદૂત
વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં, યુક્રેનિયન રાજદૂતે વ્યવસાય અને રોકાણ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, ભૂતકાળમાં અમારા વ્યાપારિક પ્રોજેક્ટ્સ અને સહયોગ ખૂબ જ સફળ રહ્યા છે. જેમ મેં કોન્ફરન્સ દરમિયાન ઉલ્લેખ કર્યો હતો. યુદ્ધ પહેલા, તે આશરે 4 બિલિયન યુએસડીનું મૂલ્ય ધરાવતું હતું. અમે આ વર્ષે ભારતમાં રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનું સ્વાગત કરવાની આશા રાખીએ છીએ અને આંતર-સરકારી કમિશનમાં, જ્યાં આપણે ભારત અને યુક્રેન બંનેમાં સાથે મળીને કરી શકીએ તેવા પ્રોજેક્ટ્સ પર વધુ વિગતવાર ચર્ચા કરી શકીએ છીએ.
ભારત-યુક્રેનના આર્થિક સંબંધો પર ચર્ચા
ભારતમાં યુક્રેનિયન રાજદૂતની પત્ની કેટેરીના બિએલાએ પણ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે ભારત-યુક્રેન આર્થિક સંબંધો પર પોતાના વિચારો શેર કર્યા હતા. કેટેરીનાએ કહ્યું, આ કાર્યક્રમ યુક્રેન જેવા ભાગીદાર દેશોને ભારતીય કંપનીઓ સાથે સંબંધો બનાવવાની તક આપે છે. જ્યારે આપણે યુદ્ધ જીતીશું. ત્યારે આપણને આપણા દેશને ફરીથી બનાવવા માટે ભારત તરફથી ઘણી મદદની જરૂર પડશે.