calendar_todayAugust 25, 2026
Sabarkanthaના ઈડરમાં બે માસૂમ ભાઈઓની હત્યા કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સમલાપુર ગામમાં માસુમ બાળકની હત્યાના મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. પોલીસે શંકાના આધારે અટકાયત કરેલા આરોપી સાવનજી ઠાકોરે ગુનાની કબૂલાત કરતાં બેવડી હત્યાનો પર્દાફાશ થયો છે. ગત રવિવારે અરવિંદજી ઠાકોરના નાના પુત્ર કેવલજી ઠાકોરનું અપહરણ થતાં પરિવાર દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે ગત વર્ષે ડેભોલ નદીમાંથી શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવેલા મોટા પુત્ર અમિતજી ઠાકોર અને હવે નાના પુત્ર કેવલજી ઠાકોર – આ બંને ભાઈઓની હત્યા આરોપી સાવનજી ઠાકોરે જ કરી હતી.
જમીન-પ્લોટની અદાવતમાં આચરેલું પાપ
આરોપી સાવનજી ઠાકોરની કડક પૂછપરછમાં ખુલાસો થયો છે કે માત્ર પ્લોટ વેચાણ લેવા જેવી મામુલી બાબતે અને જૂની અદાવતમાં તેણે આ ક્રૂર કૃત્ય આચર્યું હતું. એક જ વર્ષના ટૂંકા ગાળામાં અરવિંદજી ઠાકોરે પોતાના બંને નિર્દોષ માસુમ દીકરાઓને ગુમાવતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પ્લોટની લાલચમાં બે-બે બાળકોને મોતને ઘાટ ઉતારનાર હત્યારાની કરતૂતથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે.
પરિવારમાં આક્રંદ અને કડક સજાની માગ
એક જ વર્ષમાં બંને પુત્રોની હત્યા થતાં પીડિત પરિવાર અને સ્વજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. માસુમ બાળકોના હત્યારા સાવનજી ઠાકોર સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તેને કઠોર સજા મળે તેવી ઉગ્ર માગણી પરિવારજનો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. સાબરકાંઠા પોલીસે આરોપી સામે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરી છે.