calendar_todayJanuary 31, 2026
Sunetra Pawar બન્યા મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન, PM મોદીએ કહ્યું 'અજિત દાદાના સપનાને પુરા કરશે'
મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે એક ઐતિહાસિક અને ભાવનાત્મક ક્ષણ જોવા મળી, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજીત પવાર જૂથ)ના નેતા અને દિવંગત અજિત પવારની પત્ની સુનેત્રા પવારે નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા. મુંબઈના લોકભવનમાં આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. આ દરમિયાન મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે પણ હાજર રહ્યા.
'અજિત દાદા અમર રહે'ના નારા લાગ્યા
સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યપ્રધાન છે. આ પદ પહેલા અજિત પવારની પાસે હતું, જેમનું 28 જાન્યુઆરી 2026એ બારામતીમાં એક પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન માહોલ ખુબ જ ભાવુક રહ્યો. મોટી સંખ્યામાં હાજર પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ 'અજિત દાદા અમર રહે'ના નારા લગાવ્યા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
વડાપ્રધાન મોદીએ પણ સુનેત્રા પવારને આપી શુભેચ્છા
ત્યારે વડાપ્રધાન મોદીએ પણ સુનેત્રા પવારને નાયબ મુખ્યપ્રધાન બનવા પર શુભેચ્છા આપી અને તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે 'મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન રીકે પોતાનો કાર્યકાળ શરૂ કરનારા સુનેત્રા પવારને હાર્દિક શુભકામનાઓ. તે આ પદને સંભાળનારી પ્રથમ મહિલા છે. મને પુરો વિશ્વાસ છે કે તે રાજ્યની જનતાના કલ્યાણ માટે અથાક પરિશ્રમ કરશે અને દિવંગત અજિત દાદા પવારના સપનાઓને સાકાર કરશે.'
ઉલ્લેખનીય છે કે સુનેત્રા પવારને નાયબ મુખ્યપ્રધાન બનાવવાનો નિર્ણય એક દિવસ પહેલા જ લેવામાં આવ્યો, જ્યારે તેમને નાયબ મુખ્યપ્રધાન બનવાના પાર્ટી નેતાઓના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો. એનસીપી નેતાઓનું કહેવું છે કે આ નિર્ણય ના માત્ર સંગઠનાત્મક સ્થિરતા માટે જરૂરી હતો પણ અજિત પવારના રાજકીય વારસાને આગળ વધારવાની દિશા માટે પણ મહત્વનો છે.