android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: રિલાયન્સના મુકેશ અંબાણીની ઓળખ આપી ભેજાબાજે 38 લાખ પડાવ્યા

calendar_todaySeptember 4, 2026

Surat News: રિલાયન્સના મુકેશ અંબાણીની ઓળખ આપી ભેજાબાજે 38 લાખ પડાવ્યા

સુરતના વેસુમાં 77 વર્ષીય ખેડૂતને રિલાયન્સ કંપની અને મુકેશ અંબાણીના નામે કોલ કરી ભેજાબાજે ફેક ડોક્યુમેન્ટ્સ અને વીડિયો કોલિંગના માધ્યમથી રૂ.20 કરોડના વળતરની લાલચ આપી તબક્કાવાર રૂા.37.85 લાખ ખંખેરી લીધા હતા. વૃદ્ધે આ બાબતે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

20 કરોડનું વળતર મળશે તેવી લાલચ આપી 

મળતી વિગતો મુજબ વેસુ ગામના કુંભાર ફળિયામાં માતૃકૃપા રોહાઉસ ખાતે રહેતા અને ખેતીકામ કરતા મોહનભાઈ બાલુભાઈ પટેલના ફેસબુક મેસેન્જર પર ગત એપ્રિલ-2026માં રિલાયન્સ કંપનીના ફંડમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા અંગેના મેસેજ આવ્યા હતા.ત્યારબાદ તા.26 એપ્રિલના રોજ તેમના વોટ્સએપ પર એક અજાણ્યા આંતરરાષ્ટ્રીય કહો કે નાઈજિરિયાના નંબર પરથી કોલ આવ્યો હતો.કોલ કરનારે પોતાની ઓળખ મુકેશ અંબાણી તરીકે આપી વિશ્વાસ કેળવ્યો હતો.ભેજાબાજે રિલાયન્સ કંપનીના સ્પેશિયલ ફંડમાં રોકાણ કરવાથી 20 કરોડનું વળતર મળશે તેવી લાલચ આપી હતી. 

બેંક ખાતાઓ મોકલી પૈસા મંગાવવાનું શરૂ કર્યું

વૃદ્ધને સંપૂર્ણ વિશ્વાસમાં લેવા માટે ઠગ ટોળકીએ Reliance Industries તથા State Bank of India (SBI) ના લોગો, બનાવટી રસીદો તથા લેટર્સ વોટ્સએપ પર મોકલ્યા હતા.આ સિવાય વોટ્સએપ વીડિયો કોલ કરી વૃદ્ધનો ચહેરો વેરીફાય કરવાના નામે સ્ક્રીનશોટ પણ લીધો હતો અને સ્કીમ પૂર્ણ થતાં રૂ.20 કરોડ મળવાનું વચન આપ્યું હતું.નાણાં ઉપાડવાની વાત આવતા જ સાયબર ઠગોએ ક્લિયરન્સ ફી,પ્રોસેસિંગ ફી, ટેક્સ, ફંડ રિલીઝ ચાર્જ અને એકાઉન્ટ વેરિફિકેશનના નામે જુદા જુદા બેંક ખાતાઓ મોકલી પૈસા મંગાવવાનું શરૂ કર્યું હતું. 

વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થયો હતો

વૃદ્ધે તા.02 મે 2026થી 08 જુલાઈ 2026 દરમિયાન બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઈન્ડિયાના પોતાના એકાઉન્ટમાંથી કુલ 41 ટ્રાન્ઝેકશન મારફતે રૂ.37.85 લાખની રકમ ઠગો દ્વારા બતાવેલા બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દીધી હતી.લાખો રૂપિયા આપ્યા છતાં 20 કરોડ ન મળતા અને વધુ નાણાંની માંગણી ચાલુ રહેતા વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થયો હતો.જે અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ હતી.પી.આઈ. એન.આર.પટેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું