calendar_todayApril 23, 2026
Surat News: આમ આદમી પાર્ટીના હવાલા કૌભાંડમાં આંગડિયા પેઢીના સંચાલકની ITમાં ઊલટ તપાસ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે દિલ્હીથી સુરત 1.25 કરોડનું ફંડ હવાલા મારફતે આંગડીયા પેઢીમાં મોકલવામાં આવ્યું હતુ.આ પ્રકરણમાં પોલીસની સાથે સાથે હવે ઈન્કમટેક્સ વિભાગે પણ તપાસનો દોર શરુ કર્યો છે.તે અંતર્ગત આંગડીયા પેઢીના સંચાલકને આઇટી વિભાગમાં રુબરુ બોલાવીને નાણાંનો તાગ મેળવવા પુછપરછ શરુ કરી છે.જેથી આગામી દિવસોમાં કેટલા રુપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી છે તેની વિગતો એકત્ર કરીને ટેક્સ ભરવા માટેની કવાયત હાથ ધરવામાં આવે તેવી પણ શકયતા નકારી શકાય તેમ નથી.
ઇન્કમટેક્સ વિભાગે પણ તપાસ શરુ કરી
દિલ્હીથી આમ આદમી પાર્ટી માટે ચૂંટણીને ધ્યાને રાખીને મોકલવામાં આવેલા ફંડમાં ક્રાઈમ બ્રાંચે પીપલોદ પ્રગતિ નગરમાં રહેતા આકાશ મિશ્રાની અટકાયત કરી હતી.જેમાં દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતો હિમાંશુ પાહુજા આંગડિયામાં નાણાં મોકલતો હતો.છેલ્લા 6 મહિનામાં મહિધરપુરામાં ભવાની વડ પાસેની અરવિંદ હિરેન આંગડિયા પેઢીમાં 1.25 કરોડ જેટલી રકમ પાહુજાએ મોકલી આપી હતી અને આંગડિયામાં આ નાણાં લેવા આકાશ મિશ્રા અને અજય તિવારી જતો હોવાનો પણ ખુલાસો થયો હતો.હવે આ પ્રકરણમાં ઇન્કમટેક્સ વિભાગે પણ તપાસ શરુ કરી છે.
આંગડીયા પેઢીના સંચાલકની પુછપરછ કરીને તેનું નિવેદન નોંધ્યું
બે લાખ કરતા વધુની રકમ પકડાય તેવા કિસ્સામાં રકમ કયાંથી આવી, કોને મોકલાવી અને કોને આપવાની હતી. તે સહિતની વિગતો માટે આંગડીયા પેઢીના સંચાલકની પુછપરછ કરીને તેનું નિવેદન નોંધ્યું છે. જેથી આગામી દિવસોમાં આ પ્રકરણમાં સંડોવાયેલા તમામને ઈન્કમટેક્સ વિભાગ દ્વારા બોલાવીને પુછપરછ કરવામાં આવનાર છે. જો તેમાં હવાલાથી મોકલવામાં આવેલા નાણાં બ્લેકના હશે તેવું સાબિત થશે તો ૬૫ ટકા સુધીનો ઇન્કમટેક્સ ભરવા માટેની નોટીસ આપવામાં આવે તેવી પણ શકયતા નકારી શકાય તેમ નથી. જેથી હાલ તો ઇન્કમટેક્સ વિભાગ આ તમામ વિગતોને આધારે કેસ મજબુત કરવા માટેનો પ્રયાસ શરુ કર્યો હોવાની વિગતો જાણવા મળી છે.