calendar_todayJanuary 8, 2026
Surendranagarના ધ્રાંગધ્રામાં તંત્રની નાક નીચે ખનિજ માફિયાઓ બેફામ, રોજની 300થી વધુ ટ્રકો દ્વારા ગેરકાયદે પથ્થરનું ખનન
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં ગેરકાયદે પથ્થર ખનનનો મુદ્દો હાલ ભારે ચર્ચામાં છે. ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ પ્રકારની પાસ-પરમિટ વગર પથ્થરોનું ખુલ્લેઆમ ખનન થઈ રહ્યું હોવાની બુમરાણ ઉઠી છે. આ ગંભીરતા ત્યારે વધુ જણાય છે જ્યારે ખનિજ ભરેલી ટ્રકો સીધી જ ડેપ્યુટી કલેક્ટર કચેરી અને મામલતદાર ઓફિસ પાસેથી પસાર થતી જોવા મળે છે.
તંત્રના મૌન સામે સવાલો
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, મોટા-મોટા પથ્થરો ભરેલી ટ્રકો માટેલા સાંઢની માફક હાઈવે અને શહેરી વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરરોજ 300થી વધુ ટ્રકો ગેરકાયદે ખનનમાં રોકાયેલી છે. તેમ છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
માત્ર દેખાડા પૂરતી કામગીરી?
સ્થાનિકોનો આક્ષેપ છે કે મામલતદાર ક્યારેક એક-બે ટ્રકો ઝડપીને માત્ર કામગીરીનો સંતોષ માને છે, જ્યારે મોટા પાયે ચાલતું આ નેટવર્ક હજુ પણ અવિરત ચાલુ છે. સરકારી કચેરીઓ પાસે જ આ ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાથી તંત્રની મિલીભગત હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. ખનિજ માફિયાઓ સામે ક્યારે કડક પગલાં લેવાશે તે હવે જોવાનું રહ્યું.