calendar_todayFebruary 3, 2026
Surendranagar: 700થી વધુ છાત્રોએ બોર્ડ સ્ટાઈલથી પરીક્ષા આપી
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 26મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપતા ધો. 10ના વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડની પરીક્ષાનો હાઉ દુર થાય તે માટે રતનપરની દર્શન વિદ્યાલય અને સુરેન્દ્રનગરની સંકલ્પ વિદ્યાલય ખાતે બોર્ડ મોક એકઝામનું આયોજન કરાયુ છે. જેમાં બોર્ડની સ્ટાઈલથી ધો. 10ના 700થી વધુ છાત્રોએ પરીક્ષા આપી હતી.
ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો. 10 અને ધો. 12ની વાર્ષીક પરીક્ષાઓનો સમગ્ર રાજયમાં આગામી તા. 26મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલ દર્શન વિદ્યાલય અને સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલ સંકલ્પ સ્કુલમાં પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપતા ધો. 10 અને ધો. 12ના વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડની પરીક્ષાઓનો હાઉ દુર થાય અને તેઓ સફળતાના શીખરો સર કરે તે માટે બોર્ડ મોક એકઝામનું આયોજન કરાયુ હતુ. જેમાં બોર્ડની સ્ટાઈલ મુજબ પરીક્ષા લેવાઈ હતી. જેમાં બોર્ડની પરીક્ષા જેમ જ પુષ્પ અને કંકુ તીલક સાથે સ્વાગત, બેઠક વ્યવસ્થા, ચેકીંગ, સુપરવીઝન, ઉત્તરવહી, પ્રશ્નપેપર વગેરે રાખવામાં આવ્યુ હતુ. જેમાં દર્શન સ્કુલના 250થી વધુ અને સંકલ્પ સ્કુલના 450થી વધુ છાત્રોએ બોર્ડ સ્ટાઈલથી પરીક્ષા આપી હતી. મોક પરીક્ષાના આયોજનને સફળ બનાવવા દર્શન વિદ્યાલયના મહેશ કાનાણી, આચાર્ય જયેશ પીપળીયા, સંકલ્પ સ્કુલના એમડી વિજયભાઈ પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ સીંધવ સહીતનાઓ દ્વારા ઝીણવટભરી તૈયારીઓ કરાઈ હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો