calendar_todaySeptember 9, 2026
Surendranagar: વઢવાણમાં MA ગોલ્ડ મેડાલીસ્ટ યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
સુરેન્દ્રનગર શહેર ખાતેની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલમાં આયુષ્યમાન કાર્ડ વિભાગમાં ફરજ બજાવતા યુવાને તા. 9ના રોજ સવારે તેના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધુ છે. પરિવારજનોએ હોસ્પીટલના આયુષ્યમાન કાર્ડ વિભાગના વડા દ્વારા મૃતકને કામ બાબતે માનસીક ત્રાસ આપવામાં આવતો હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સામાન્ય બાબતમાં પણ ધીરજ ગુમાવી બેસેલા લોકો ઈશ્વરે આપેલા મહામુલા જીવનનો આપઘાત કરી અંત લાવી દે છે. ત્યારે શહેરમાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહીતી મુજબ મુળ ધંધુકા તાલુકાના મોરસીયા ગામનો વતની રર વર્ષીય મેહુલ નાગજીભાઈ રેવર હાલ વઢવાણના ગણપતી ફાટસર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. મેહુલના પિતા નાગજીભાઈ મજુરી કામ કરે છે. મેહુલ અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી હતો. એમ.એ.માં તેણે યુનિવર્સીટી કક્ષાએથી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ત્યારે તા. 9ના રોજ સવારે મેહુલે તેના ઘરે પંખા સાથે સાડી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા પરિવારજનો તેને દવાખાને લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ વઢવાણ પોલીસ મથકના બીટ જમાદાર બી.કે.દેથળીયા સહિતનાઓએ હોસ્પીટલ દોડી જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જયારે આ અંગેની વાત વહેતી થતા સમાજના આગેવાનો અશોકભાઈ ચાવડા, અમૃતભાઈ મકવાણા, વીનોદભાઈ મકવાણા સહિતનાઓ દોડી ગયા હતા. મૃતકના પરિવારજનોએ હોસ્પીટલમાં આયુષ્યમાન કાર્ડના વિભાગના વડા દ્વારા મેહુલને કામ બાબતે માનસીક ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવ્યુ હતુ. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો