calendar_todaySeptember 4, 2026
Una-તુલસીશ્યામ રોડ પર ગમખ્વાર અકસ્માત: કારે બાઈકને અડફેટે લેતાં બે યુવાનોના મોત
ગીર સોમનાથ જિલ્લાના ઉના-તુલસીશ્યામ રોડ પર તહેવારના માહોલ વચ્ચે એક અત્યંત કરૂણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કંસારી ગામ નજીક પુરપાટ ઝડપે આવતી કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. તહેવારોના દિવસોમાં જ બનેલી આ કાળજું કંપાવી દેનારી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સપોટો બોલાઈ ગયો છે.
તહેવારના દિવસે જ ભડીયાદર ગામમાં છવાયો માતમ!
ભડીયાદર ગામના રહેવાસી કુલદીપ (ઉંમર 17 વર્ષ) અને જીગર (ઉંમર 21 વર્ષ) નામના બંને યુવાનો તહેવાર નિમિત્તે પોતાના બાઈક પર સવાર થઈને ઉના તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન કંસારી ગામ નજીક સામેથી આવી રહેલી એક કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો વિકરાળ હતો કે બંને યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો.
ગામમાં શોકનું મોજું, પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ ઉના પોલીસનો કાફલો ત્વરિત બનાવ સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબ્જે કરીને પીએમ અર્થે ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. તહેવારના સમયે જ ગામના બે બેનમૂન યુવાનોના અકાળે મોત થતાં ભડીયાદર ગામમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી કાર કબ્જે કરીને ફરાર થઈ ગયેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.