android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
UP: બાગપતમાં ભયાનક અકસ્માત, ગોગામેડી દર્શન કરી પરત ફરી રહેલા બદાયૂંના 13 શ્રદ્ધાળુઓના મોત

calendar_todaySeptember 8, 2026

UP: બાગપતમાં ભયાનક અકસ્માત, ગોગામેડી દર્શન કરી પરત ફરી રહેલા બદાયૂંના 13 શ્રદ્ધાળુઓના મોત

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર સોમવારે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના ગોગામેડી ખાતે જહરવીર બાબાના દર્શન કરીને પોતાના વતન બદાયૂં પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની પિકઅપ ગાડીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં બદાયૂં જિલ્લાના 13 શ્રદ્ધાળુઓનાં ઘટનાસ્થળે જ કે સારવાર દરમિયાન કમનસીબ મોત નીપજ્યાં હતાં, જ્યારે 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

100થી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા દર્શને 

પ્રાપ્ત માહિતી અનુસાર, બદાયૂં જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા ગામોના 100 થી વધુ શ્રદ્ધાળુઓ ચાર પિકઅપ ટ્રકમાં સવાર થઈને આસ્થાની યાત્રાએ ગયા હતા. દર્શન પૂર્ણ કરી પરત ફરતી વેળાએ બાગપત પાસે આ હોનારત સર્જાઈ હતી. મૃતકોમાં અલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્લાપુર ચમારી ગામના સાત લોકોનો સમાવેશ થાય છે, જેમાં જયસિંહ ઉર્ફે સાધુ, તેમના પત્ની મુન્ની દેવી, પ્રેમ સિંહ, ભગવતી (પત્ની ચિત્રપાલ), મૂર્તિ (પત્ની થાન સિંહ), રામેશ્વર અને અવનિશ સામેલ છે.

ભયાનક અકસ્માતમાં બદાયૂંના 13 લોકોના મોત

આ ઉપરાંત, અન્ય વિસ્તારોમાંથી પણ કેટલાક પરિવારોના સભ્યો ભોગ બન્યા હતા. જેમાં જરીફનગર પોલીસ સ્ટેશન વિસ્તારના મદારપુર ગામના નેમપાલનો 12 વર્ષનો પુત્ર જીતેન્દ્ર અને બીનાવર પોલીસ સ્ટેશન વિસ્તારના રસુલ ગામના આનંદ વીરનો 17 વર્ષનો પુત્ર મુનીમ પણ મૃત્યુ પામનારાઓમાં સામેલ છે. આ અચાનક થયેલી આફતથી મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ઘાયલોની સારવાર અને પ્રશાસનિક સહાય

આ ભયાનક અકસ્માતમાં ૨૦ થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થનારાઓમાં માનસી, સુલતાનશ્રી, પ્રેમવતી, નેપાળ, અનમોલ, આનંદ વીર, છત્રપાલ, દિલીપ, યાદરામ, ખુશી, સોની, પ્રદીપ, કુંવરપાલ, મહેશાદેવી, અખિલેશ, સિંધુ, થાન સિંહ, રાજેશ્વર, કલ્લો, જગદીશનો પુત્ર અખિલેશ અને અરુણ કુમારનો સમાવેશ થાય છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને પ્રશાસન તાત્કાલિક ધોરણે હરકતમાં આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની વિશેષ સારવાર ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા પીડિત પરિવારજનોને શક્ય તમામ મદદ અને સાંત્વના આપવામાં આવી રહી છે. ધાર્મિક આસ્થા સાથે નીકળેલી આ યાત્રા અંતમાં આખા પરિવાર અને ગામ માટે કાળમીંઢ રાત્રિ સાબિત થઈ, જેને કારણે સમગ્ર બદાયૂં પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચોઃ Weather Update : બિહારથી લઇને MP સુધી પૂરની પરિસ્થિતિ, આજે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી