calendar_todayJanuary 13, 2026
Vadodara News: વાઘોડિયામાં રેશનિંગના દુકાનદારે 600 કિલો અનાજની કટકી કર્યાનો આક્ષેપ, ગ્રાહકોએ મામલતદારને રજૂઆત કરી
વડોદરાના વાઘોડિયામાં રેશનિંગના સંચાલકો પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. વાજબી ભાવની દુકાનોના સંચાલકો ગ્રાહકોને ગ્રાહક દીઠ એક કિલો અનાજ ઓછુ આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગ્રાહકો અને સંચાલક વચ્ચે રકઝક થયા બાદ ગ્રાહકોએ વાઘોડિયા મામલતદારને રજૂઆત કરી હતી.
600 જેટલા રાશનકાર્ડ ધારકો જોડાયેલા છે
વડોદરાના વાઘોડિયાના વેડપુર ગામની સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ગ્રાહકોને ઓછું અનાજ આપતા હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. અનાજ લેવા આવેલા ગ્રાહકોએ જ ઓછું અનાજ મળતું હોવાનો આક્ષેપ કર્યો હતો. ગ્રાહક દીઠ એક કલાક ઓછું અનાજ મળતું હોવાના આરોપ લગાવાયા હતાં. આ સંચાલકની દુકાન સાથે 500થી 600 જેટલા રાશનકાર્ડ ધારકો જોડાયેલા છે.
વાઘોડિયા મામલતદારને લેખિતમાં રજૂઆત
600 જેટલા કાર્ડ ધારકોનું 600 કિલો અનાજની સંચાલક દ્વારા કટકી થતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. રેશનિંગની દુકાનના સંચાલક અને ગ્રાહક વચ્ચે આ મુદ્દે રકઝક થઈ હતી. જે અંગે ગ્રાહકોએ વાઘોડિયા મામલતદારને લેખિતમાં રજૂઆત કરીને રેશનિંગની દુકાનના સંચાલક સામે યોગ્ય કાર્યવાહીની માગ કરી હતી.