calendar_todaySeptember 7, 2026
West Bengal : દુર્ગા પૂજાને લઈને શુભેન્દુ અધિકારીનું એલાન, મહાઅષ્ટમીએ દારૂ વેચાણ બંધ અને પૂજા સમિતિઓને 1 લાખ સહાય
પશ્ચિમ બંગાળમાં આગામી દુર્ગા પૂજાને લઈને મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ અનેક મહત્વના નિર્ણયો જાહેર કર્યા છે. ઓછી બજેટ ધરાવતી દુર્ગા પૂજા સમિતિઓને 1 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. સાથે જ પૂજા સમિતિઓ માટે વીજળી અને ફાયર સેફ્ટી સંબંધિત રાહતોની પણ જાહેરાત કરવામાં આવી છે.
મહાઅષ્ટમીએ દારૂની દુકાનો અને બાર બંધ રહેશે
સરકારના સૌથી મોટા નિર્ણયોમાં મહાઅષ્ટમીના દિવસે રાજ્યભરમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધનો સમાવેશ થાય છે. આ દિવસે દારૂની દુકાનો ઉપરાંત બાર પણ બંધ રહેશે અને દારૂ વેચાણ કે પીરસવાની મંજૂરી નહીં હોય.
DJ પર પ્રતિબંધ, ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડવાની અપીલ
મુખ્યમંત્રીએ દુર્ગા પૂજા દરમિયાન DJ સંગીત પર પણ પ્રતિબંધની જાહેરાત કરી છે. સાથે જ પૂજા સમિતિઓને પ્રતિમા, પંડાલ, થીમ અને સજાવટમાં એવી કોઈ બાબત ન કરવા અપીલ કરવામાં આવી છે જે ધાર્મિક ભાવનાઓ અથવા સાંસ્કૃતિક પરંપરાને અસર પહોંચાડે.
1 લાખની સહાય કોને મળશે?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઓછી બજેટ અને આર્થિક રીતે નબળી પૂજા સમિતિઓને 1 લાખની સહાય આપવામાં આવશે. મોટી બજેટ ધરાવતી અને આર્થિક રીતે સક્ષમ સમિતિઓને સરકારી સહાય ન લેવા સ્વૈચ્છિક અપીલ કરવામાં આવી છે.
ફ્રી વીજળી અને ફાયર સેફ્ટીમાં રાહત
દુર્ગા પૂજા સમિતિઓ માટે વીજળી બિલમાં સંપૂર્ણ રાહતની જાહેરાત કરવામાં આવી છે. ફાયર સેફ્ટી લાઇસન્સ ફરજિયાત રહેશે, પરંતુ તેના માટે સમિતિઓ પાસેથી ફી લેવામાં નહીં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.
વિસર્જનને લઈને પણ નવી ગાઇડલાઇન
સરકારે વિસર્જન વ્યવસ્થા અંગે પણ નિયમો જાહેર કર્યા છે અને દુર્ગા પૂજાનું આયોજન શાંતિપૂર્ણ અને પરંપરાગત રીતે થાય તે માટે સમિતિઓને સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?