Anand: પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે મનપા કચેરી બહાર હવન
કરમસદ આણંદ મહાનગરપાલિકાને એક વર્ષ પુર્ણ થતા શહેરીજનોને અનેક પ્રાથમિક સુવિદ્યાઓ મળી ન હોવાના આક્ષેપ સાથે શહેરના નાગરીક હર્ષિલ દવેએ મનપાની મુખ્ય કચેરી બહાર વર્તમાન અધિકારીઓને ભગવાન પ્રજાના કામો કરવા માટે સદ્બુદ્ધી આપે તે માટે સદ્બુદ્ધી હવન અને ગાય માતાની પૂજા કરીને અનોખી રીતે સત્તાધિશોનો વિરોધ કર્યો હતો. દવેએ મુખ્ય ગેટ પાસે બ્રાહ્મણને બોલાવીને યજ્ઞ કરતા ત્યાંથી પસાર થતા લોકોમાં બારે કુતુહલ સર્જાયુ હતું. તદ્ઉપરાંત દવે દ્વારા આક્ષેપ કરાયો છે કે મહાનગરપાલિકાના અસ્તિત્વ રચાયે એક વર્ષ પુર્ણ થયું હોવા છતા અનેક વિસ્તારોમાં લોકો પાયાની જરૂરિયાતથી વંચિત રહ્યા છે. તેઓને પીવાનું પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, રોડની સુવિદ્યાઓ મુદ્દે તંત્ર દ્વારા ઘોર દુર્લક્ષ સેવવામાં આવ્યુ હોય અધિકારીઓને ભગવાન સદ્બુદ્ધી આપે તે માટે યજ્ઞ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યુ હતું. તેમજ મનપા દ્વારા જે કામો એક વર્ષમાં થયા નથી તે તમામ કામો વહેલામાં વહેલી તકે ઝડપી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે સાથે ઘર વિહોણા લોકોને ઘરનું ઘર બને, ફેરી કરી ગુજરાન ચલાવતા લોકોની રોજીરોટી ન છીનવાઇ તે માટે ખાસ તકોદારી રાખવામાં આવે, ગાય માતાની પૂજા કરીને સંદેશો આપ્યો છે કે મનપા વિસ્તારમાં ગોચરની જમીનનો અભાવ છે. જેથી ગાયો જાહેર માર્ગો ઉપર જ્યાં અને ત્યાં ફરીને ઘાસચારો આરોગી રહી છે. પાંજરાપોળમાં રાખવામાં આવતી ગાયોની તકેદારી કે સારસંભાળ રાખવામાં આવતી ન હોય ગાયોની હાલત બગડી રહી છે. તે મુદ્દે પણ અધિકારીઓએ ઘટતુ કરવું જોઇએ તેવી માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward