Gandhinagar News : ખેડૂત આંદોલનનો વિજય, હર્ષ સંઘવી સાથેની બેઠક ફળી, સાવગઢ અને હડિયોલ સહિત 11 ગામોને બાકાત કર્યા
હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) માં સામેલ કરવામાં આવેલા ગામોના વિરોધનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પત્ર જાહેર કરીને HUDA માંથી 11 ગામોને સત્તાવાર રીતે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારના ખેડૂતો દ્વારા લાંબા સમયથી HUDA માં સમાવેશ કરવા સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ મામલે ખેડૂત પ્રતિનિધિઓ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં HUDA ની કામગીરી સ્થગિત કરવા અને ગામોને દૂર કરવા અંગે થયેલી ચર્ચા બાદ સરકારે આ મંજૂરીની મહોર મારી છે.ખેડૂતોના વિરોધ સામે નમ્યું વહીવટી તંત્ર નવા આદેશ મુજબ, હિંમતનગર આસપાસના મહત્વના 11 ગામો જેમાં પરબડા, ધાંધા, સાવગઢ, કટવાડ, બોરિયાખુરદ, પીપલોદી, હડિયોલ, કનકોલ, બેરના, નવા અને બલવંતપુરાનો સમાવેશ થાય છે, તેમને હવે ઓથોરિટીની હદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ખેડૂતોની માંગ હતી કે ગ્રામ્ય વિસ્તારોને ઓથોરિટીમાં લેવાથી તેમની ખેતીની જમીન અને જીવનશૈલી પર અસર પડશે. સરકારના આ નિર્ણયથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર વિરામ મુકાયો છે. આ પણ વાંચો : Ahmedabad News : સંદેશના અહેવાલની ધારદાર અસર, IKDRC કિડની હોસ્પિટલમાં બેકડોર એન્ટ્રી કરાવનાર સામે તંત્રની લાલ આંખ
Read Full Story arrow_forward