Uttarakhand: 30 યાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, 3 લોકોના મોત, અનેક ઘાયલ
ઉત્તરાખંડના પહાડી રસ્તાઓ પર મુસાફરી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. દેહરાદૂન જિલ્લાના કાલસી વિસ્તારમાં મંગળવારે સવારે હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક પેસેન્જર બસ બેકાબૂ થઈને ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નિયંત્રણ ગુમાવતા બસ સીધી ઊંડી ખાઈમાં પડી મળતીમાહિતી મુજબ, આ બસ ક્વાનૂ-મીનસ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે નિયંત્રણ ગુમાવતા બસ સીધી ઊંડી ખીણમાં પડી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં અંદાજે 30 મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકોમાં બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાંથી 6 થી 7 મુસાફરોની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. SDRF દ્વારા બચાવ કાર્ય શરૂ ઘટનાની ગંભીરતાને જોતા SDRF કમાન્ડન્ટ અર્પણ યાદુવંશીના આદેશ પર ડાકપથ્થર, ચકરાતા, મોરી અને ટ્યૂણીથી SDRFની સ્પેશિયલ ટીમો રવાના કરવામાં આવી હતી. દુર્ગમ વિસ્તાર હોવા છતાં, જવાનોએ ખાઈમાં ઉતરીને ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. અકસ્માતનું સ્થળ ઘણું ઊંડું હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે તાત્કાલિક જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા આદેશ આપ્યા છે. સીએમ ધામીએ જણાવ્યું કે, તમામ નજીકના મેડિકલ સેન્ટરોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જો કોઈ મુસાફરની હાલત વધુ ગંભીર જણાશે, તો તેમને વધુ સારી સારવાર માટે એરલિફ્ટ કરીને ઉચ્ચ સ્તરીય હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ પણ વાંચોઃ India US Trade Deal: લોકો ટીકા કરતા રહ્યા, પણ ધૈર્યથી જ પરિણામ મળ્યુ, NDA સાંસદોને US ટ્રેડ ડીલ પર બોલ્યા PM Modi
Read Full Story arrow_forward