ભુજ-અમદાવાદ ફ્લાઇટ પુનઃ શરૂ કરો અને કંડલામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ અંગે દિલ્હીમાં રજૂઆત
કચ્છ જિલ્લાની હવાઈ કનેક્ટિવિટીને વેગ આપવા માટે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (FOKIA) દ્વારા દિલ્હી ખાતે નાગરિક ઉડ્ડયન નિયામક સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. સાંસદ વિનોદ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં ભુજ-અમદાવાદ ફ્લાઇટને પુનઃ શરૂ કરવા અને કંડલામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.ભુજ-અમદાવાદ ફ્લાઇટ: 70 ટકા ઓક્યુપન્સી છતાં કેમ બંધ? ફોકિઆના એમડી નિમિષ ફડકેએ જણાવ્યું હતું કે, અગાઉ ઉડાન યોજના હેઠળ ચાલતી ભુજ-અમદાવાદ ફ્લાઇટમાં 70 ટકા જેટલી ઓક્યુપન્સી રહેતી હતી, જે આ રૂટની વ્યાપારી સફળતા દર્શાવે છે. કેન્દ્ર સરકારનું ત્રણ વર્ષનું ફંડિંગ (VGF) પૂર્ણ થતા હાલ આ સેવા બંધ છે. જોકે, ઉડ્ડયન નિયામક શંખેશ મહેતાએ સૂચવ્યું છે કે, જો રાજ્ય સરકાર સહાય પૂરી પાડે, તો આ સેવા ફરી શરૂ થઈ શકે તેમ છે. આ બાબતે 'સ્ટાર એર' સાથે પણ પરામર્શ કરવામાં આવ્યો છે. વધુમાં, ઈન્ડિગો દ્વારા ભુજ-મુંબઈ અને ભુજ-દિલ્હી વચ્ચે નવી ફ્લાઇટ્સ શરૂ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કંડલા ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે જમીનની તૈયારી કચ્છના ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખી કંડલા ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની માંગ લાંબા સમયથી છે. આ માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) જરૂરી જમીન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)ને સોંપવા તૈયાર છે. હવે આ પ્રક્રિયાને આગળ ધપાવવા માટે રાજ્યના મુખ્ય સચિવને દરખાસ્ત મોકલવામાં આવશે. ત્યારબાદ AAI દ્વારા ફિઝિબિલિટી સ્ટડી હાથ ધરવામાં આવશે. ઉદ્યોગ અને પ્રવાસનને મળશે નવી પાંખો આ બેઠકમાં ઉદ્યોગપતિ ભાવેન ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા. જો આ બંને પ્રશ્નોનું નિરાકરણ આવશે, તો કચ્છના સફેદ રણના પર્યટન અને અહીંના વિશાળ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે મોટી કનેક્ટિવિટી મળશે. આગામી દિવસોમાં ગુજરાત સરકાર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચેના સંકલનથી કચ્છને નવી હવાઈ પાંખો મળે તેવી પૂરી શક્યતા છે. આ પણ વાંચો - Kachchh News : ભચાઉ અને રાપર તાલુકાના કાંઠા વિસ્તારમાં અચાનક માવઠું, કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા
Read Full Story arrow_forward