Patan: ક્લેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી કુલ 15 અરજીઓ નોંધાઈ હતી, જેમાંથી 10 અરજદારો ઉપસ્થિત રહી પોતાની સમસ્યાઓ તથા રજૂઆતો રજૂ કરી હતી. કાર્યક્રમમાં અરજદારો દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી, જેમા અગાઉની ફરિયાદનો નિકાલ ન થતાં ફરી રજૂઆત, ગેરકાયદેસર રેતી ખનન, પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાની ફરિયાદ, ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજનાની સહાય મેળવવામાં પડતી મુશ્કેલીઓ, 7/12 ના ક્ષેત્રફ્ળમાં ભૂલ સુધારણા, વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળવામાં વિલંબ, નર્મદા કેનાલ માટે કપાત થયેલી જમીનની વળતર રકમ, સરકારી માપણીમાં વિસંગતતા, ખેતરમાં દબાણ દૂર કરવા બાબત, બંધ થયેલ એસ.ટી. બસ સેવા પુનઃ શરૂ કરવા બાબત, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય, ગેરકાયદેસર દબાણ દૂર કરાવવા તથા નિરાધાર કુટુંબને આર્થિક સહાય અપાવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. તદુપરાંત, સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામમાંથી પસાર થતી માઇનર કેનાલમાં નબળા કામના કારણે થયેલ નુકશાનની ભરપાઈ, હારીજ ખાતે ગટર ઉભરાવાની સમસ્યા તથા ગટરના તૂટેલા ઢાંકણાં બદલવાની માંગ તેમજ રહેણાંક સનદો અને હુકમો આપવાની રજૂઆતો પણ કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ અરજીઓનો હકારાત્મક અભિગમથી વિચાર કરી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અને અસરકારક રીતે નિકાલ કરવા સૂચના આપી હતી. સાથે અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે માટે ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી, નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward