android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સોનગઢમાં સુન્ની સમાજના કબ્રસ્તાનનો વહીવટ મનસ્વી ઢબે થતો હોવાની રાવ
calendar_today September 7, 2026

સોનગઢમાં સુન્ની સમાજના કબ્રસ્તાનનો વહીવટ મનસ્વી ઢબે થતો હોવાની રાવ

સોનગઢમાં સુન્ની મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન અને મસ્જિદના વહીવટને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. ગત 31 ઓગસ્ટના રોજ એક દફ્નવિધિ સમયે થયેલો હુમલો અને કબ્રસ્તાન પર કથિત ગેરકાયદે કબજા સામે સમાજ દ્વારા કલેક્ટર, એસ.પી. અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.કલેકટરથી થયેલી રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે સલીમુલ્લાહ મુલ્લાં અને ફારુખ મન્સૂરી દ્વારા છેલ્લા 37 વર્ષથી કોઈ કાયદેસર પુરાવા વગર મનમાનીથી વહીવટ ચલાવાઈ રહ્યો છે અને કબરસ્તાનની પવિત્રતા ભંગ કરાઈ રહી છે. 31 ઓગસ્ટની રાત્રે જનાજો દફ્નવિધિ માટે પહોંચતા જ પૂર્વઆયોજિત કાવતરા હેઠળ લાકડા અને લોખંડના પાઇપથી હુમલો કરાયો હતો, જેમાં સઈદ રસિદ ખાટીક ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેમ છતાં હુમલાખોરો સામે સામાન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. હત્યાના પ્રયાસની કલમ 109 હજુ સુધી ઉમેરાઈ નથી. જેથી સુન્ની મુસ્લિમ સમાજે ફારુખ મન્સૂરી સહિતના આરોપીઓ સામે કલમ 109 ઉમેરવા, એસ.આઈ.ટી. દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ કબ્રસ્તાનનો વહીવટ તથા આવકની તપાસ કરવા માગ કરાઈ છે. જ્યારે સામે પક્ષે પણ જુના ગામ જુમા મસ્જિદના મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમ મુલાએ જિલ્લા કલેક્ટર સહિત તાપી પોલીસને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં બંને આરોપીઓને પાસા (PASA) હેઠળ જેલમાં ધકેલી કડક પગલાં ભરવા અને સોનગઢમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા આવશ્યક પગલાં લેવા માંગ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
મેઘો રિસાતા મોંકાણ : નિઝર-કુકરમુંડામાં પૂરતો વરસાદ નહીં પડતાં ખેતપાકો ચીમળાવા લાગ્યા
calendar_today September 7, 2026

મેઘો રિસાતા મોંકાણ : નિઝર-કુકરમુંડામાં પૂરતો વરસાદ નહીં પડતાં ખેતપાકો ચીમળાવા લાગ્યા

તાપી જિલ્લાના નિઝર-કુકરમુંડા તાલુકાઓમાં આકાશી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોના ઊભા પાકો વરસાદના અભાવે ચીમળાવા લાગ્યા છે, સિંચાઇની સુવિધા ન હોવાથી ખેતરોમાં પાણી ન મળતા સુકાવા લાગેલા ઊભા પાકોના લીધે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, આકાશ તરફ જોઇ ખેડૂતો નિસાસો ઠાલવી રહ્યા છે.નિઝર અને કુકરમુંડા તાલુકાઓના મોટાભાગના વિસ્થાપિત તથા રેવન્યૂ ગામો છે, જેમાં વિસ્થાપિત ગામોના નાના અને સીમાંત ખેડૂતો કે જેઓ પ્લોટિંગની જમીનમાં રહેઠાણ અને વસવાટ કરી આકાશી ખેતી કરતા આવ્યા છે. આવા ખેડૂતોને આજ સુધી સારી સિંચાઇની સુવિધા મળી શકી નથી જેથી પ્લોટિંગની જમીનમાં જે પરિવર્તન કે વિકાસ થવાનો હોય તે થઇ શક્યો નથી. ચોમાસા દરમિયાન ખેડૂતોએ પોતાના ખેતરોમાં વરસાદી પાકો વાવ્યા છે પણ કમનસીબી એ રહી છે કે આ વર્ષે શરૂઆતથી જ બંને તાલુકાઓમાં વરસાદ ઓછો પડવાથી આ તાલુકાઓના ગામડાઓના ખેડૂતોની હાલત દયનીય બની છે, કારણ કે શરૂઆતમાં ઝાપટા સ્વરૂપે પડેલા વરસાદથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં વરસાદી પાકો વાવ્યા છે અને પાકો છૂટાછવાયા વરસાદથી ઉગી નીકળ્યા છે અને હાલમાં પાકો ઉપર ફૂલ પણ આવી ગયા છે. આ પાકોને હવે વરસાદની તાતી જરૂર છે જે વરસાદ હાલમાં હાથતાળી આપતો રહ્યો છે, ઉપરથી તાપ અને બફારો પડવાથી પાકો હવે સુકાવા લાગ્યા છે, જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ઓછા વરસાદ અને અનિયમિત વરસાદથી પાકો જેવા કે હાઇબ્રિડ જુવાર, દેશી ડાંગર, મગ, અડદ, તુવેર, કપાસ, સોયાબીન, મકાઇ કે અન્ય કઠોળ પાકો સુકાવા લાગ્યા છે, મેઘરાજા વરસે તેવી વિનંતી ખેડૂતો કરતા થયા છે. મોટાભાગના ખેડૂતો પાસે સિંચાઇની કોઇ સુવિધા ન હોવાથી જેઓ માટે વરસાદ જ એકમાત્ર આધાર છે, જો વરસાદ ન થાય તો ઊભો પાક નષ્ટ થવા સાથે પરિવારોની આર્થિક સ્થિતિ કથળવાની શક્યતા રહેલી છે.આ બાબતે નિઝર-કુકરમુંડાના વિસ્થાપિત અને રેવન્યૂ ખેડૂતો સાથે રૂબરૂ મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે નિઝર અને કુકરમુંડા તાલુકામાં વરસાદની સિઝનમાં નજીવો વરસાદ પડયો છે, જ્યારે અન્ય તાલુકામાં ધોધમાર વરસાદ પડયો છે. અનિયમિત વરસાદ પડવાથી વરસાદી ખેતીમાં અમને ખૂબ જ મોટી સમસ્યા ઊભી થવાની છે, કારણ કે વરસાદી ખેતી માટે જે ખેડાણ, વાવેતર, નીંદામણ, દવા, બિયારણોના મોંઘા ખર્ચાઓ માથે પડવાના છે, તેથી ખેડૂતોના હિતાર્થે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
મહુવા-અંબિકા તાલુકા સહકારી સંમેલન દૂધ અને ખાંડ ઉત્પાદન વધારવા ચિંતન
calendar_today September 7, 2026

મહુવા-અંબિકા તાલુકા સહકારી સંમેલન દૂધ અને ખાંડ ઉત્પાદન વધારવા ચિંતન

બારડોલી : અનાવલાના વલ્લભાશ્રામ સંકુલ ખાતે શનિવારે મહુવા-અંબિકા તાલુકાનું સહકારી સંમેલન યોજાયું હતું. જેમાં ખેતી અને પશુપાલન ઉપરાંત શેરડી પકડવા ખેડૂતોની દશા અંગે ચિંતન કરાયું હતું.સંમેલનમાં સુરત જિલ્લાના સહકારી ખેડૂત આગેવાન માનસિંહભાઈ પટેલે જણાવ્યું કે, સહકારી ખાંડ ઉદ્યોગની સ્થિતિ દિવસે અને દિવસે બગડતી જાય છે. શેરડીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. ખેડૂતોએ પાયલોટ પ્રોજેક્ટ પ્રમાણે આધુનિક રીતે શેરડીની ખેતી કરવી પડશે. ખેતી મોંઘી થતી હોવાથી વધુ ઉત્પાદન એ એકમાત્ર હવે વિકલ્પ રહ્યો છે. સહકારી ક્ષેત્રમાં હવે દૂષણો ઘર કરવા લાગ્યા છે. જેનાથી સંસ્થાઓનું માળખું તૂટવા લાગ્યું છે. સહકારમાં માત્ર સહકાર જ હોય છે. બીજી બધી પ્રવૃત્તિઓ ચાલુ થાય એટલે સહકારી ક્ષેત્ર ખતમ થઈ જાય છે. જો સુગર ફેક્ટરીઓ અને સહકારી દૂધ મંડળીઓ ટકશે નહી તો ગ્રામ્ય અર્થતંત્ર પડી ભાંગશે. ખેડૂતો અને પશુપાલકોની હાલત બદતર થઈ જશે. એમ તેમણે કહ્યું હતું. આ સહકારી સંમેલનમાં અનાવલ કેળવણી મંડળના પ્રમુખ વિપુલભાઈ પટેલે જણાવ્યું કે, સુરત જિલ્લાના ગ્રામ્ય લોકોની જે સુખાકારી આજે છે તે માત્ર ને માત્ર દૂધ મંડળીઓ સાથેના પશુપાલકોના દૂધ વ્યવસાય ઉપરાંત સુગર ફેક્ટરીઓ સાથેના શેરડી પાકના કારણે છે. જેને ટકાવી રાખવું જરૂરી છે. સુમુલ ડેરીના મહુવાના ડિરેક્ટર ધનંજયભાઈ પટેલે કહ્યું કે, આપણું ગ્રામ્ય અર્થતંત્ર દૂધના વ્યવસાય પર ટકેલું છે. દરેક ગામડાઓમાં પશુપાલકો પશુપાલન થકી દૂધ ઉત્પાદન કરીને મંડળીઓ મારફતે તેની આવક મેળવે છે. બીજી તરફ પશુપાલનની સાથે ખાંડ ઉદ્યોગ આપણા માટે જીવાદોરી છે. શૈલેષભાઈ બારોટે પણ ખેડૂતો અને પશુપાલકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં સહકારી આગેવાનો તુષારભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, સુનિલસિંહ પરમાર, હેમાંશુભાઈ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત પશુપાલકો અને સહકારી મંડળીઓના સંચાલક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward