Dabhoi: ડભોઇ-સમલાયા રેલવે લાઇન જમીન સંપાદન વળતરમાં ખેડૂતોને અન્યાય
ડભોઈ તાલુકામાં નેરોગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કામગીરી ચાલે છે. જે અંતર્ગત ડભોઈથી સમલાયા નેરોગેજ લાઇન માટે તરસાણા ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જોકે, આ જમીન સંપાદનની વળતર પ્રક્રિયામાં ભારે અન્યાય થતો હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. તરસાણાના ખેડૂતોએ આજરોજ ટીંબી ફાટક ખાતે એકત્ર થઇને વિરોધ કર્યો હતો.જ્યારે આ યોજના માટે પ્રાથમિક જાહેરનામું બહાર પડાયું ત્યારે તરસાણા ગામમાં ગ્રામ પંચાયતનો વહીવટ હતો. તે મુજબ નવા નિયમો અનુસાર ગામને ગ્રામ્ય વિસ્તાર ગણી બેનો ગુણાંક અને તેના પર 100% આશ્વાસન રકમ સાથે વળતર ચૂકવવાનો એવોર્ડ તૈયાર કરાયો હતો. પરંતુ ત્યારબાદ આ ગામનો સમાવેશ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં થતાં જંત્રી ગ્રામ્ય વિસ્તારની ગણીને ગુણાંક બેના બદલે એક કરી દેવાયો હતો. પરિણામે ખેડૂતોને મળવાપાત્ર વળતરની રકમ અડધી થઈ જતાં મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ અન્યાય સામે અસરગ્રસ્ત ખેડૂતોએ હાઈકોર્ટમાં દાવો દાખલ કરીને ગામને ગ્રામ્ય વિસ્તાર ગણી નિયમ મુજબ ચાર ગણું વળતર ચૂકવવા માંગણી કરી છે. ખેડૂતોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી જમીન સંપાદનની કામગીરી આગળ વધવા દેવામાં નહીં આવે કે જમીનનો કબજો સોંપવામાં નહીં આવે. જમીન સંપાદન થવાથી ખેડૂતોને એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા-આવવાના રસ્તા (ઈઝમેન્ટ રાઈટ) છીનવાઈ છે. બાકી રહેતી જમીનોમાં પાણી ભરાઈ રહેવાથી ખેતીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે, જેનો કોઈ નિકાલ કરાયો નથી. જોઈન્ટ મેઝરમેન્ટ અને સંપાદનના ક્ષેત્રફ્ળ વચ્ચે સ્થળ પર મોટો તફાવત જોવા મળે છે. ખેડૂતોને 135-ડીની કાયદેસર નોટિસ આપ્યા વિના જ ગેરકાયદે 7/12ના ઉતારામાં એન્ટ્રીઓ પાડી દેવાઇ છે. ખેડૂતોને 2009 નહીં પણ 2013માં જે વળતર ચૂકવાયું છે. જો સરકાર આ તમામ મુદ્દાઓ પર વહેલી તકે ખેડૂત હિતલક્ષી નિર્ણય નહીં કરે, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward