Mahisagar: કડાણા ડેમ ખાતે ફ્લોટિંગ સોલર પ્લાન્ટનું વડાપ્રધાન દ્વારા ખાતમુહૂર્ત
કડાણા : ગુજરાત સરકારે અગાઉના બજેટમાં કરેલી જાહેરાતને સાકાર કરવાની દિશામાં આજે એક મોટું અને ઐતિહાસિક પગલું ભરાયું છે. મંગળવારે વડોદરા ખાતેથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં રાજ્યના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટનું સત્તાવાર ખાતમુહૂર્ત કરાયું છે.આ સાથે જ મહીસાગર નદીના પાણી પર ગ્રીન એનર્જીના ઉત્પાદનની ક્રાંતિકારી શરૂઆત થઈ ચૂકી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત મહીસાગર જિલ્લાના કડાણા ડેમના બેકવોટરમાં આ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે રૂા.489.20 કરોડનું માતબર બજેટ ફળવાયું છે. આ વિશાળ પ્લાન્ટ 300 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેની કુલ ક્ષમતા 110 મેગાવોટ રહેશે. પાણીની સપાટી પર તરતી રહેતી અંદાજે 2 લાખ ફ્લોટિંગ સોલાર પેનલ્સ આ પ્રોજેક્ટમાં લગાવાશે, જે પાણીના સ્તરના વધવા કે ઘટવા સાથે આપમેળે પોતાનું સંતુલન જાળવી રાખશે અને ચોમાસાના મજબૂત મોજા કે પૂરની સ્થિતિ સામે પણ સંપૂર્ણ સુરક્ષિત રહેશે.આ પ્લાન્ટ દ્વારા દરરોજ અંદાજે 5 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે, જે રાજ્યના અનેક વિસ્તારોની વીજ જરૂરિયાતો સંતોષશે. ખાસ વાત એ છે કે, પાણીની કુલિંગ ઇફેક્ટના કારણે જમીન પરના પ્લાન્ટ્સની સરખામણીમાં આ પાણી પરના પ્લાન્ટમાંથી 11% વધુ વીજળી ઉત્પન્ન થશે. પર્યાવરણ સંરક્ષણની દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે વાર્ષિક 4 લાખ ટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન અટકાવશે, જે આશરે 50 લાખ વૃક્ષો વાવવાના પર્યાવરણીય લાભ સમાન છે. આ સોલાર પેનલ્સ 100% રિસાઇકેબલ છે.આ મહત્ત્વપૂર્ણ ખાતમુહૂર્ત પ્રસંગે કડાણા GSECL ખાતે સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના હસ્તે થયેલી આ ભવ્ય શરૂઆતથી હવે કડાણા ડેમ ખાતે મહીસાગર નદીના પાણી પર વીજ ઉત્પાદનની નવી યુગલહરી શરૂ થઈ છે, જે ગુજરાતને સ્વચ્છ અને હરિયાળી ઊર્જા પૂરી પાડવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward